અપહરણ-ખંડણી કેસમાં ગુન્હો ન નોંધવા બદલ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ
ગુજરાત પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 2 IPS, 3 DYSP અને 1 PSI સામે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ માટે પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકોની ફરિયાદ ન લઈને માલેતુજાર લોકોને બચાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં બે IPS અધિકારી, ત્રણ DySP અને એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં ગુન્હો દાખલ કરવાને બદલે આરોપીને બચાવી લેવાની હરકત બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પૂર્વ કચ્છના બે તત્કાલીન એસપી જી.બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડેપ્યુટી એસપી વિજય ગઢવી, ધનંજય એસ.વાઘેલા અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ સામે ભુજ CID ક્રાઇમ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બે IPS સહીત છ પોલીસ અધિકારીએ પ્રેમાનંદ નામના વ્યક્તિની ગંભીર ફરિયાદ હોવા છતાં તેની ઉપર કાર્યવાહી કરવાને બદલે ઈલેક્ટ્રો થર્મ (ET)ના માલિક શૈલેષ ભંડારીને સતત બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જયાં આ પોલીસ અધિકારીઓ સહીત કુલ 19 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ભુજની CID ક્રાઇમ કચેરી દ્વારા સુપ્રીમ કોર્ટના સ્ટે હટાવી આદેશ બાદ એક મહિના પછી ગુન્હાની નોંધ કરવામાં આવી છે. પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ ગાંધીધામ પાસે મેઘપર બોરીચીમાં આવેલા નવરત્ન ડ્રીમમાં રહેતા પ્રેમ લીલારામ શીરવાણી નામના વ્યક્તિએ ઈલેક્ટ્રો થર્મ કંપનીના માલિકો અને તેની સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હોવાનો એકરાર કર્યો છે. આ ગુન્હો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે કરવામાં આવ્યો હોવાનું પણ CID ક્રાઇમે કબુલ્યું છે.
IPS ભાવના પટેલ, જી.વી.બારોટ સહીત ત્રણ DySP અને એક PI સતત ક્લોઝિંગ રિપોર્ટ ભરતા રહ્યા હતા. વર્ષ 2015થી શરૂ થયેલા આ સમગ્ર મામલા અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ – ગાંધીધામના તત્કાલીન એસપી IPS જી.વી.બારોટ અને IPS ભાવનાબેન આર.પટેલ સહીત ત્રણ ડેપ્યુટી એસપી ડી.એસ.વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કઈંજ થયું નથી તેવું રટણ કરવામાં આવતું હતું.
આ સમગ્ર મામલામાં જેટલી ગંભીર ભૂમિકા શૈલેષ ભંડારી અને તેના માણસોની છે તેટલી જ ભૂમિકા પોલીસ અધિકારીઓની છે. છતાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસમાં વિપરીત અસર થશે એવા રૂપાળા બહાના હેઠળ તેમના નામ આપવામાં આવ્યા નથી. વર્ષ 2015થી આ કેસ ચાલી રહ્યો છે. ફરીયાદી દ્વારા પોલીસ સ્ટેશનથી માંડીને ગાંધીધામ એસપી કચેરી, ગાંધીનગર ડીજીપી ઓફિસ અને ગુજરાત હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટના પગથિયાં ઘસી નાખ્યા છે. ત્યારે પોલીસને કેસની ગંભીરતા ન દેખાઈ હતી. પરંતુ હવે જયારે કોર્ટના આદેશને પગલે પોલીસ અધિકારીઓ સામે ગુન્હો નોંધવો પડ્યો છે ત્યારે ભુજ CID ક્રાઇમને તેમાં ગંભીરતા દેખાઈ રહી છે.
આ કેસના ફરિયાદી પ્રેમ લીલારામ શીરવાણી ETમાં શૈલેષ ભંડારી સાથે કામ કરતા હતા. ET કંપનીમાં ડિરેક્ટર બનાવીને તેમના નામે કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેમને પતાવી દેવાનો કારસો ઘડવામાં આવ્યો છે તેવી ગંધ તેમને આવી ગઈ હતી. એટલે તેમણે ડિરેકટર બનવાનું ના કહી દેતા પ્રેમનું અપહરણ કરીને અઠવાડિયા સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પત્ની પાસેથી સવા બે કરોડની સુધીની ખંડણી ઉઘરાવ્યા બાદ પણ શૈલેષ ભંડારી વધુ હેરાન કરી રહ્યો હતો. સમગ્ર મામલામાં પ્રેમ પાસે ઓડીયો વીડિયે સહિતના આધાર પુરાવા હતા. છતાં શૈલેષ સામે ફરિયાદ કે કાર્યવાહી કરવાને બદલે પોલીસ તેને સપોર્ટ કરતી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો પછી પણ પોલીસ સતત ET કંપનીના જવાબદારોને બચાવવાનો ભરચક પ્રયાસ કરતી રહી હતી.