- PM સામેના ઉચ્ચારણો બદલ ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીનો કેસ કર્યો છે
- મેટ્રો કોર્ટે કેજરીવાલ, સંજયસિંહને હાજર રહેવા સમન્સ પાઠવ્યા હતા
- રજિસ્ટ્રારને બદનક્ષીની ફરીયાદ દાખલ કરવા યુનિવર્સિટી દ્વારા અધિકૃત કરાયા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક ઉચ્ચારણો કરવાના બદનક્ષી કેસમાં જારી મેટ્રોપોલિટન કોર્ટમાં થયેલી બનક્ષીની ફરીયાદ અને જારી થયેલા સમન્સને રદબાતલ ઠરાવવા દાદ માંગતી આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજયસભા સાંસદ સંજયસિંહની કવોશિંગ પિટિશનો આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી.સુથારે ફ્ગાવી દીધી હતી. હાઈકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આજે જાહેર કરી આપના બને નેતાઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો.
ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને બહુ મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ ફાઇલ કરેલા બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટે અગાઉ બંને જણાં વિરૂધ્ધ સમન્સ જારી કર્યા હતા. જેની સામે તેઓએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જો કે, સેશન્સ કોર્ટે પણ બંને નેતાઓની રિવિઝન અરજી ફ્ગાવી દઇ તેમને રાહત આપી ન હતી. તેથી તેમણે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી હતી. જેનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફ્થી જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી એ સ્ટેટની વ્યાખ્યમાં આવતી નથી અને રજિસ્ટ્રારને બદનક્ષીની ફરીયાદ દાખલ કરવા યુનિવર્સિટી દ્વારા અધિકૃત કરાયા છે. મેટ્રોપોલીટન કોર્ટે કેસની હકીકતો અને પુરાવા ધ્યાનમાં લઇને જ કોગ્નિઝન્સ લીધુ છે અને બંને નેતાઓ વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે. બંને નેતાઓ દ્વારા સંસ્થા(યુનિવર્સિટી)ની છબી ખરડવાનો હીન પ્રયાસ થયો છે એ તેના વિવાદીત નિવેદનો-ટિપ્પણીથી યુનિવર્સિટીની બદનક્ષી થઇ છે, તે નિર્વિવાદ સત્ય છે. આ સંજોગોમાં આપના નેતાઓની કવોશિંગ પિટિશન ટકી શકે તેમ નથી. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે કેજરીવાલ-સંજયસિંહની કવોશીંગ પિટિશનો ફ્ગાવી દીધી હતી.


