- ખનીજ ચોરીનો પ્રયાસ કરતા 3 શ્રામિકોનાં મોત નિપજ્યાં હતા
- બુરાયેલા કૂવાનું ખોદાણ કરાતા જિલ્લા ખનીજ વિભાગ દ્વારા પણ ફરિયાદ દાખલ કરાશે
- સલામતી વગર કામ કરાવનારા બંને આરોપીને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી
મૂળી તાલુકાના દેવપરા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજચોરી કરવા માટે કુવા ખોદતા સમયે ગેસના કારણે ગુંગળામણ થતા ત્રણ મજૂરોના મોત થતા સલામતી વગર કામ કરાવનાર બે શખ્સો સામે મુળી પોલીસે ફરીયાદ દાખલ કરી બંન્નેની ધરપકડ કરી છે.ત્યારે જિલ્લા ખાણખનીજ અધિકારી દ્વારા બુરાયેલા કુવા ફરીથી ખોદી ખનીજચોરીનો પ્રયાસ કરતા બીજી પોલીસ ફરીયાદ દાખલ કરવા માટે ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુળી,થાનગઢ અને સાયલા સહિતના વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર ખનીજચોરી કરેલા ઉંડા કુવા બુરવાની કામગીરી ચલાવાઇ રહી છે.ત્યારે ખનીજચોરી કરાતા કુવા બુરવાની કામગીરી ચાલુ કરાતા ખનીજ માફીયા રઘવાયા થતા દેખાય છે.થોડા દિવસ પહેલા ખંપાણીયામાં પણ આવી રીતે ત્રણ મજૂરો ભેખડ ધસી પડતા દટાયા હતા ત્યારે મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં બુરાયેલા ઉંડા કુવા ફરીથી મજૂરો પાસે ખનીજચોરી કરવા માટે મજૂરો પાસે ખોદાવાઇ રહયા હતા.પરંતુ માટી કાઢતા કાઢતા અંદર મજૂરો પહોચતા ગેસ ગુંગળામણ થવાના કારણે ત્રણ મજૂરોના કુવામાં અંદર મોત થયા હતા.આ મજૂરોને કુવામાં ઉતારતા સમયે મજૂરો પાસે કામ કરાવતા સત્વીરભાઇ કનુભાઇ કરપડા અને રણજીતભાઇ વાઘુભાઇ ડાંગર દ્વારા મજૂરોને કુવામાં સલામતીના સાધનો વગર કામ કરાવતા સમયે થયેલ મોત મામલે ફરીયાદ દાખલ કરાઇ હતી.પોલીસે ફરીયાદ દાખલ થતાની સાથે જ ગણતરીના સમયમાં બંન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ ખાણખનીજ વિભાગમાં ખાલી પડેલ સ્ટાફની જગ્યા નહી ભરાય તો એક તરફ તંત્ર દ્વારા ખનીજચોરી કરેલા ખાડા બુરાણ કરશે તો અમુક ખોદવાનું પણ ચાલુ રાખશે જેથી ખનીજ વિભાગમાં ખાલી સ્ટાફની ભરવામાં આવે અને ચોટીલા ખનીજઓફીસ કાયમી ચાલુ રાખવામાં આવે તો તંત્રને સફળતા મળી શકે છે.
બુરેલા કૂવાને ગેરકાયદે રીતે ખોદાતા બીજી ફરિયાદ થશે
જિલ્લા ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટે જણાવેલ કે તંત્રએ ખનીજ ચોરી કરેલા કુવા બુરાણ કર્યા બાદ ફરીથી ખનીજ ચોરી કરવા ખોદાણ કર્યા હોવાથી ફરીથી ખનીજ વિભાગ પણ આ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરશે.
ખાટલે મોટી ખોડ ? : જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં જરૂરી સ્ટાફનો જ અભાવ
સુરેન્દ્રનગર જિલ્લા ખાણખનીજ ઓફીસરમાં ગેઝેટેડ ઓફીસર-2,કલાર્ક-5,માઇન્સ સુપરવાઇઝર 2,રોયલ્ટી ઇન્સપેકટર-3 સહિતના મહત્વના સ્ટાફની જગ્યા લાંબા સમયથી ખાલી છે સાથે પુરતા સ્ટાફના અભાવે ચોટીલા મંજૂર થયેલી ખનીજ ઓફીસ રેગ્યુલર ખુલી શકતી નથી.
બુરેલા કૂવામાં ખોદાણ કરતા ગેસ બને છે
સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં તંત્ર દ્વારા ખનીજ ચોરી કરેલા કુવા બુરાણ કરાઇ રહયા છે અને ખનીજ માફીયા ખનીજ ચોરી કરવા માટે બુરેલા કુવામાંથી માટી કાઢે ત્યારે કુવામાં હવાની અવરજવર બંધ થઇ ગઇ હોવાથી કાર્બોસેલનો ગેસ અંદર ભરાયેલો હોય જે લોકોના સંપર્કમાં આવતો હોવાથી દુર્ઘટના બને છે.


