- રાખડી આમ તો માત્ર સૂતરનો દોરો જ છે, પરંતુ તેમાં અજબની શક્તિ છે
- આ પવિત્ર ધાગામાં બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ તથા અતૂટ વિશ્વાસ સમાયેલો છે
સાંજને ઝંકારવાની વેળ છે,
સૂરની સાથે શબ્દનો મેળ છે,
વીરા! આપણી વચ્ચે બીજું કશું નથી,
સ્નેહનો નાતો છે અને તે નિર્ભેળ છે
આપણા દેશમાં ભાઈ-બહેનની પ્રીતના પ્રતીકસમા મુખ્ય બે તહેવારો ઊજવાય છે. એક રક્ષાબંધન અને બીજો ભાઈબીજ. શ્રાવણી પૂર્ણિમાએ આવતો રક્ષાબંધનનો તહેવાર અનેરું મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. ભાઈ- બહેનની પ્રીતનું પવિત્ર મિલન એટલે પરાક્રમ, પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ. ભોગ કાં તો સ્વાર્થના પડછાયાથી અંકિત થયેલા જગતના સઘળા સંબંધોની વચ્ચે નિઃસ્વાર્થ અને પવિત્ર એવી ભાઈ- બહેનની સાચી પ્રેમસગાઈ એ જાણે ખારા સમંદરની વચ્ચે સાંપડતી કોઈક મીઠી વીરડી જેવી આશ્ચર્યકારક ઘટના છે.
ભારતીય સંસ્કૃતિ તેમજ તેના પ્રવર્તક ઋષિઓએ આ સંબંધની નિઃસ્પૃહતા અને પવિત્રતાનું મહિમાગાન કર્યું છે. ભારતીય સંસ્કૃતિ એટલે માનવ જીવનની મહાનતાનાં દર્શન કરાવનારી સંસ્કૃતિ. ભાઈને રાખડી બાંધતાં પહેલાં બહેન તેના મસ્તક પર તિલક કરે છે. આ કેવળ ભાઈના મસ્તકની પૂજા નથી, પણ ભાઈના વિચારો અને બુદ્ધિ પરના વિશ્વાસનું દર્શન છે. બહેન જ્યારે ભાઈના કપાળે કુમકુમ તિલક કરે છે ત્યારે સામાન્ય લાગતી એ ક્રિયામાં દૃષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયા સમાયેલી હોય છે. સામાન્ય દૃષ્ટિ જગતને જોતી રહેતી બે આંખો ઉપરાંત ભોગને ભૂલીને ભાવદૃષ્ટિથી જગતને જોવા માટે જાણે કે ત્રીજી એક પવિત્ર આંખ આપીને બહેન પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો હોય એવો સંકેત એ ક્રિયામાં દેખાય છે. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડીને કામને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર બુદ્ધિનું લોચન ખોલી તેને વિકાર-વાસના ઇત્યાદિને ભસ્મ કરવાનું સૂચવતી હોય છે. બહેનની આંખો ભાઈ ઉપર હંમેશાં અમીવર્ષા વરસાવતી હોય છે. એની વાણી દિલમાં રહેલા કામનાના અંધકારને ઉલેચી ભાઈને કર્તવ્યની કેડીએ આગળ વધતો કરી મૂકે છે. રક્ષાબંધનના દિવસે પ્રત્યેક બહેન હર્ષઘેલી બનીને ભાઈનું મુખ મીઠું કરાવે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં બહેનના હૃદયનો નિર્વ્યાજ પ્રેમ ભરેલો હોય છે. રક્ષાનું બંધન જીવનમાં ઉપયોગી એવાં અનેક બંધનોની રક્ષા કરે છે. લોખંડની મજબૂત બેડીને તોડવા સમર્થ એવો ભાઈ બહેને બાંધેલી એ નાનકડી રક્ષાના બંધનને તોડી શકતો નથી તેમજ તેની મર્યાદાને ઉલ્લંઘી શકતો નથી. રક્ષા એ કેવળ સૂતરનો દોરો નથી. એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન છે. ભાઈના હાથે રક્ષા બાંધીને બહેન તેની પાસેથી કેવળ પોતાની રક્ષા ઇચ્છે છે. એટલું જ નહીં, પરંતુ સમસ્ત સ્ત્રી જાતને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ઇચ્છા રાખે છે. સાથે સાથે બાહ્ય શત્રુઓ અને આંતરવિકારો ઉપર પોતાનો ભાઈ વિજય મેળવે એ ભાવના પણ એમાં સમાયેલી છે.
રક્ષાબંધન સાથે જોડાયેલી કથાઓ
હિંદુ શાસ્ત્રો તથા પુરાણોમાં પણ રક્ષાબંધન વિશે અલગ અલગ કથાઓ વર્ણવેલી છે. એક કથા એવી છે કે સૌપ્રથમ સૂર્યદેવની પુત્રી તથા યમરાજાની ભગિની યમીએ (હાલની યમુના નદી) પોતાના વીરા યમરાજાની રક્ષા કાજે રાખડી બાંધી હતી. અન્ય એક કથામાં એવું છે કે શ્રી શનિદેવની પનોતી તથા કોપથી બચવા લક્ષ્મીજીએ શનિદેવને પોતાનો ભાઈ બનાવીને રાખડી બાંધી હતી ત્યારથી રક્ષાબંધનની શરૂઆત થઈ હશે એવું મનાય છે.
દ્રૌપદીએ પણ ભગવાન શ્રીકૃષ્ણના હાથે બાલ્યાવસ્થામાં રાખડી બાંધી હતી અને રાખડીનું કર્જ ચૂકવવાના હેતુથી જ્યારે ભરસભામાં દ્રૌપદીની લાજ કૌરવો દ્વારા લૂંટાતી હતી ત્યારે ભગવાને 1008 સાડીઓ દ્રૌપદીને પહેરાવીને તેની લાજ લૂંટાતી બચાવી હતી.
મહાભારતના યુદ્ધમાં નાનકડો અભિમન્યુ કૌરવો સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે ત્યારે અભિમન્યુના જીવનની રક્ષા કાજે કુંતા માતા અભિમન્યુનાં ઓવારણાં લઇને તેના હાથે રાખડી બાંધે છે અને કુંતા માતા બાળ અભિમન્યુને પાણી ચઢાવતાં ગાય છે કે `કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ…’ એ અલગ બાબત છે કે કૃષ્ણ ભગવાને છળકપટથી અભિમન્યુના હાથેથી રાખડી છોડાવી નાખી હતી અને અંતે અભિમન્યુ મૃત્યુને ભેટ્યો હતો.
મેવાડની રાણી કર્માવતીએ પણ હુમાયુને અલાઉદ્દીન ખીલજીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા રાખડી મોકલાવી પોતાનો ભાઈ બનાવ્યો હતો. તો સામે પક્ષે હુમાયુએ પણ બહેનની મદદ કરવા મેવાડ તરફ પૂરતી ફોજ મોકલી આપી હતી.
જ્યારે આપણા દેશ પર દુશ્મન રાજ્યો ચઢાઈ કરે છે ત્યારે આપણા ફોજી જવાનો દુશ્મનને લલકારવા તત્પર હોય છે ત્યારે તેમનો ઉત્સાહ જાળવી રાખવા તથા તેમના પ્રાણની રક્ષા કાજે સરહદ વિસ્તારમાં રહેતી બહેનો વીર જવાનોના કપાળમાં કુમકુમ તિલક કરી, આરતી ઉતારી, તેમના હાથે પવિત્ર રક્ષા બાંધી હસતા મુખે યુદ્ધ લડવા વિદાય આપે છે.
વેદોમાં દેવ-અસુર સંગ્રામમાં દેવોના વિજય નિમિત્તે ઈન્દ્રાણીએ હિંમત હારી ગયેલા ઈન્દ્રના હાથે રક્ષા બાંધી હતી તેવો ઉલ્લેખ છે. આ રીતે રક્ષામાં ઉભય પક્ષના રક્ષણની ભાવના સમાયેલી છે, પરંતુ આટલી જ તેની મર્યાદા નથી. રક્ષાબંધન એ તો બંધન-રક્ષાનું સ્મારક છે. બંધન-રક્ષા એટલે ધ્યેય રક્ષા જેણે જીવનમાં કંઈક બંધન માન્ય કર્યું છે. જે જીવનમાં કોઇક ધ્યેય સાથે બંધાઈ ગયો છે તે જ જીવનવિકાસ કરી શકે છે. રાખડી બાંધતી વખતે બહેન ભાઈને બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવાનું સૂચવે છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન પાસે રાખડી બંધાવી બહેનની રક્ષા કરવાનું વચન આપે છે, પરંતુ શું માત્ર બહેનને જ રક્ષણની જરૂર છે, ભાઈને નહીં? જો ભાઇ ત્રણ વર્ષનો હોય અને બહેન પંદર વર્ષની હોય તો આ નાનો ભાઈ મોટી બહેનની કેવી રીતે રક્ષા કરી શકે? વાસ્તવમાં આ કળિયુગથી વાતાવરણમાં દરેકને એકબીજાની હૂંફ અને રક્ષણની જરૂર છે એટલે આ રક્ષાબંધનના તહેવારને ભાઈ-બહેન પૂરતો મર્યાદિત ન રાખતા સમગ્ર માનવજાતનો એકબીજા પ્રત્યેની પ્રીતનો તહેવાર બનાવવો જોઈએ. જે રીતે બહેન ભાઈને રાખડી બાંધે છે એ જ રીતે પત્ની પતિને, પુત્રી પિતાને, માતા પુત્રોને, પ્રેયસી પ્રેમીને રક્ષાસૂત્ર બાંધીને રક્ષણનું વચન લઈ શકે છે.
બળેવ
રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળેવનું પર્વ બ્રાહ્મણો માટે ખૂબ જ મહત્ત્વનું પર્વ છે. આજના દિવસે તમામ બ્રાહ્મણો સમૂહમાં ભેગા થઈને નદીકિનારે જૂની યજ્ઞોપવીત બદલીને નવી યજ્ઞોપવીત ધારણ કરે છે તથા હેમાદ્રી સ્નાન કરે છે. કહેવાય છે કે આ યજ્ઞોપવીતમાં એવી શક્તિ છે કે ભૂત, પિશાચ કે આસુરી તત્ત્વો પણ આ યજ્ઞોપવીતથી દૂર ભાગે છે. અગાઉના રાજા-મહારાજાઓ પણ બ્રાહ્મણોનું ખૂબ જ માન-સન્માન કરીને દાન-દક્ષિણા આપી બ્રાહ્મણ દેવતાઓના આશીર્વાદ મેળવતા હતા. ચોર, લૂંટારા કે બહારવટિયાઓ પણ બ્રાહ્મણોને ક્યારેય પણ કનડતા ન હતા.
નારિયેળી પૂનમ
રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે નારિયેળીનું ફળ પાકીને ખાવાયોગ્ય બને છે. સાગરખેડુઓ, માછીમારો તથા મરજીવાઓ સાગરની અબીલ, ગુલાલ, કંકુ તથા નારિયેળથી પૂજા કરે છે. આજના દિવસે દરિયામાં પુષ્કળ ભરતી આવે છે. આમ, રક્ષાબંધન, બળેવ કે નારિયેળી પૂનમનું પર્વ ભાઈ-બહેનથી લઈ, બ્રાહ્મણો, સાગરખેડુઓ તથા મરજીવાઓ તમામ માટે ખૂબ જ મહત્ત્વનું પર્વ છે.
રાખડી આમ તો માત્ર સૂતરનો દોરો જ છે, પરંતુ તેમાં અજબની શક્તિ છે. આ પવિત્ર ધાગામાં બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ તથા અતૂટ વિશ્વાસ સમાયેલો છે. ટૂંકમાં, રક્ષાબંધન એટલે ભાઈએ લીધેલી બહેનના રક્ષણની જવાબદારી. રક્ષાબંધન એ ભાઈ-બહેન માટે પરસ્પર પ્રેરક, પોષક અને પૂરક છે એ સંદેશો આપનાર આ પર્વ ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય દેન છે.