દેશ પર ડોલરનું દબાણ ઘટાડવા મોટો પ્રહાર
સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી
વધતી આયાત, ડોલરની અછત અને વૈશ્વિક સંકટ વચ્ચે સરકાર એક્શનમાં
દાણચોરી ફરી માથું ઊંચકે તેવી ભીતિ, ઝવેરી બજારમાં ચિંતા
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશની આર્થિક સ્થિતિને લઈને કેન્દ્ર સરકારે હવે ગંભીર અને કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. વિદેશી હુંડીયામણ પર વધી રહેલું દબાણ, સતત વધી રહેલી આયાત, વેપાર ખાધમાં ઉછાળો અને વૈશ્વિક સ્તરે સર્જાતી અનિશ્ચિતતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પરની કુલ ડયુટી વધારીને 15 ટકા કરી દીધી છે. આ નિર્ણય માત્ર કરવેરો વધારવાનો મુદ્દો નથી, પરંતુ સરકાર હવે અર્થતંત્રને સંભાળવા માટે “સંકટ નિયંત્રણ મોડ”માં પ્રવેશી ગઈ હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસો અગાઉ દેશના લોકોને એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અપીલ કરી હતી. સામાન્ય રીતે વડાપ્રધાન જાહેરમાં આવી અપીલ ત્યારે જ કરે છે જ્યારે આર્થિક સ્થિતિમાં ગંભીર ચિંતા ઉભી થઈ હોય. તે અપીલ બાદ હવે સરકારે સોનાની આયાત વધુ મોંઘી બનાવી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આગામી સમયમાં બિનજરૂરી અને વૈભવી આયાતો પર નિયંત્રણ લાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિર્ણય મુજબ સોનાની આયાત પરની બેઝીક કસ્ટમ ડયુટી 5 ટકાથી વધારીને 10 ટકા કરવામાં આવી છે. સાથે સાથે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ 1 ટકાથી વધારીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ રીતે હવે સોનાની આયાત પર કુલ 15 ટકા જેટલો કર લાગશે. ચાંદી પર પણ સમાન પ્રકારનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે યુએઈ સાથેના વેપાર કરાર હેઠળ ઓછા દરે આવતું સોનું પણ હવે આ વધારેલી ડયુટીના દાયરામાં આવી ગયું છે.
આ પગલાં પાછળનું મુખ્ય કારણ દેશની બગડતી આયાત સ્થિતિ છે. ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે, પરંતુ ઉત્પાદન મામલે લગભગ સંપૂર્ણપણે આયાત પર આધારિત છે. દેશમાં માત્ર 1 ટકા જેટલું જ સોનું સ્થાનિક સ્તરે મળે છે. બાકીનો મોટાભાગનો જથ્થો વિદેશથી આયાત કરવો પડે છે. ગત વર્ષે ભારતે આશરે 800 ટન જેટલું સોનું આયાત કર્યું હતું, જેના માટે અંદાજે રૂા.4.50 લાખ કરોડ જેટલો ખર્ચ થયો હતો. બીજી તરફ ચાંદીની આયાત પણ રૂા.60 હજાર કરોડને વટાવી ગઈ હતી.
આ બન્ને કિંમતી ધાતુઓ પાછળ ભારતે કુલ 83.98 બિલિયન ડોલર જેટલો વિદેશી હુંડીયામણ ખર્ચી નાખ્યો હતો, જે અગાઉના વર્ષના 58 બિલિયન ડોલર કરતાં ઘણો મોટો વધારો દર્શાવે છે. એ જ સમયે ક્રુડ ઓઈલની આયાત પણ મોંઘી બની રહી છે. પરિણામે દેશની ચાલુ ખાતાની ખાધ 333.2 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. અર્થશાસ્ત્રીઓના મતે આ આંકડો ચિંતાજનક છે અને લાંબા ગાળે દેશના અર્થતંત્ર પર ગંભીર અસર કરી શકે છે.
અર્થતંત્રના જાણકારો માને છે કે જ્યારે કોઈ દેશની આયાત તેની નિકાસ કરતાં ઘણી વધી જાય ત્યારે તેની કરન્સી પર દબાણ આવે છે. વિદેશી હુંડીયામણના જથ્થામાં ઘટાડો થાય છે અને રૂપિયો નબળો પડવા લાગે છે. હાલમાં ભારત સામે પણ એવી જ સ્થિતિ ઉભી થઈ રહી છે. ખાસ કરીને ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયાની અનિશ્ચિત પરિસ્થિતિને કારણે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થવાની આશંકા છે. જો તેલ વધુ મોંઘું બને તો ભારતનું આયાત બિલ વધુ ફાટી નીકળશે. તેથી સરકારે પહેલાથી જ બિનજરૂરી આયાતોને કાબૂમાં લેવાની દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
બજારમાંથી મળતા સંકેતો મુજબ સરકાર આગામી સમયમાં માત્ર સોના-ચાંદી પૂરતી મર્યાદિત નહીં રહે. ઈલેક્ટ્રોનિક્સ, લક્ઝરી કાર, પ્રીમિયમ ગેજેટ્સ, આયાતી કોસ્મેટિક્સ અને અન્ય વૈભવી ચીજવસ્તુઓ પર પણ આયાત નિયંત્રણો વધારવાની ચર્ચા ચાલી રહી છે. સરકારનું મુખ્ય લક્ષ્ય હાલ ડોલર બચાવવાનું અને વિદેશી હુંડીયામણનું સંરક્ષણ કરવાનું છે.
ઝવેરી બજારમાં આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મોટા વેપારીઓનું કહેવું છે કે ડયુટી વધારવાથી કાયદેસર આયાત ચોક્કસ ઘટશે, પરંતુ ભારતમાં સોનાની માંગમાં ખાસ ઘટાડો થવાની શક્યતા ઓછી છે. કારણ કે ભારતમાં સોનું માત્ર આભૂષણ કે વૈભવનું પ્રતિક નથી, પરંતુ રોકાણ, પરંપરા અને સામાજિક સુરક્ષાનું પણ પ્રતિક છે. લગ્ન પ્રસંગો, તહેવારો અને ધાર્મિક માન્યતાઓ સાથે સોનાનું ગાઢ જોડાણ હોવાથી માંગ સંપૂર્ણપણે ઘટવી મુશ્કેલ છે.
રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ અને દિલ્હી જેવા મોટા ઝવેરી બજારોમાં વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે વધતી આયાત જકાતનો સીધો ફટકો ગ્રાહકોને પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે અને તેના ઉપર 15 ટકા ડયુટી લાગતાં ભારતમાં સોનાના ભાવ વધુ ઉંચા જઈ શકે છે. સાથે જ જીએસટી, મેકિંગ ચાર્જ અને અન્ય ખર્ચ ઉમેરાતા સામાન્ય મધ્યમવર્ગ માટે સોનાની ખરીદી વધુ મુશ્કેલ બનશે.
બીજી તરફ કેટલાક અર્થશાસ્ત્રીઓ સરકારના પગલાને યોગ્ય ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે હાલ દેશ સામે સૌથી મોટો પડકાર વિદેશી હુંડીયામણ બચાવવાનો છે. જો આયાત પર નિયંત્રણ નહીં લાવવામાં આવે તો રૂપિયો વધુ નબળો પડી શકે છે. તેના કારણે મોંઘવારીમાં વધારો થશે અને આયાત આધારિત ઉદ્યોગો પર પણ દબાણ આવશે. બજારના વિશ્લેષકો માને છે કે હાલનો નિર્ણય ટૂંકા ગાળે સોનાના ભાવને વધુ તેજી તરફ ધકેલી શકે છે. સામાન્ય રીતે જ્યારે આયાત મોંઘી બને છે ત્યારે બજારમાં સપ્લાય ઘટે છે અને માંગ યથાવત રહે તો ભાવ વધી જાય છે. ખાસ કરીને લગ્ન સીઝન નજીક હોય ત્યારે સોનાના ભાવમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.
અગાઉ પણ જ્યારે સોનાની આયાત જકાત 10 ટકા અને ત્યારબાદ 12.5 ટકા સુધી લઈ જવાઈ હતી ત્યારે દાણચોરીના કેસોમાં ભારે વધારો નોંધાયો હતો. એરપોર્ટ, બંદરો અને સરહદી વિસ્તારોમાં મોટી માત્રામાં સોનું ઝડપાયું હતું. હવે ફરી એ જ સ્થિતિ સર્જાવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
ખાસ કરીને દુબઈ, સિંગાપુર, થાઈલેન્ડ અને મલેશિયા જેવા દેશો મારફતે સોનાની ગેરકાયદેસર એન્ટ્રી વધે તેવી ભીતિ છે. કારણ કે આ દેશો સાથે ભારતના હવાઈ અને વેપારી સંબંધો વધુ સક્રિય છે. દાણચોરો હવે વધુ આધુનિક અને ગોપનીય માર્ગો અપનાવી શકે છે. ગોલ્ડ પેસ્ટ બનાવી શરીરમાં છુપાવી લાવવું, મશીનરીના પાર્ટ્સમાં સોનું છુપાવવું, એર કાર્ગો અને કુરિયર મારફતે ગેરકાયદેસર હેરફેર જેવા નવા રસ્તાઓ ફરી સક્રિય થઈ શકે છે.
ઝવેરી બજાર સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે જ્યારે કાયદેસર આયાત પર વધારે ભાર મૂકવામાં આવે છે ત્યારે ગેરકાયદેસર વેપાર ફાયદાકારક બની જાય છે. દાણચોરો માટે ભારત વિશ્વનો સૌથી મોટો માર્કેટ છે, કારણ કે અહીં માંગ સતત ઊંચી રહે છે. જો ડયુટીનો તફાવત વધારે હશે તો ગેરકાયદેસર સોનું બજારમાં સસ્તું મળી શકે છે, જેના કારણે કાયદેસર વેપારીઓને નુકસાન થશે.
બીજી તરફ સરકાર માટે સૌથી મોટો પડકાર હવે દાણચોરી રોકવાનો રહેશે. કસ્ટમ વિભાગ, ડીઆરઆઈ અને એરપોર્ટ ઈન્ટેલિજન્સ એજન્સીઓને વધુ સક્રિય થવું પડશે. કારણ કે સોનાની દાણચોરી માત્ર ટેક્સ ચોરીનો મુદ્દો નથી, પરંતુ તે હવાલા, કાળા નાણાં અને આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર નેટવર્ક સાથે પણ જોડાયેલી હોય છે.
વિશ્લેષકો માને છે કે જો સરકાર લાંબા ગાળે સોનાની આયાત ઘટાડવા માંગતી હોય તો લોકોને વૈકલ્પિક રોકાણ તરફ વાળવા પડશે. ગોલ્ડ બોન્ડ, ડિજિટલ ગોલ્ડ, મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર જેવા વિકલ્પોને વધુ પ્રોત્સાહન આપવું પડશે. ગ્રામ્ય અને મધ્યમવર્ગીય પરિવારોમાં ફિઝિકલ ગોલ્ડ પ્રત્યેનો મોહ ઓછો કરવો એ સરકાર માટે સૌથી મોટો પડકાર રહેશે.
હાલની પરિસ્થિતિમાં સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે, આગામી સમયમાં આર્થિક મજબૂતી માટે કેટલાક કડવા નિર્ણયો સ્વીકારવા પડશે. સોનાની આયાત જકાતમાં વધારો એ તેની શરૂઆત માત્ર છે. જો વૈશ્વિક પરિસ્થિતિ વધુ બગડે અને ક્રુડ ઓઈલના ભાવમાં તેજી આવે તો સરકારે વધુ કડક પગલાં ભરવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
દેશની અર્થવ્યવસ્થા હાલ એક નાજુક વળાંક પર ઉભી છે. એક તરફ વિકાસ જાળવી રાખવાનો પડકાર છે તો બીજી તરફ ડોલર બચાવવાનો દબાણ છે. આવા સમયમાં સરકારે લીધેલો આ નિર્ણય હવે બજાર, વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો માટે આગામી મહિનાઓમાં કેટલી અસર કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
સોનાની ડયુટી વધતા સામાન્ય માણસ પર શું અસર પડશે ?
* બજારમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે
* લગ્ન પ્રસંગોમાં ઘરેણાં ખરીદવા ખર્ચ વધશે
* મધ્યમવર્ગ માટે સોનામાં રોકાણ મુશ્કેલ બનશે
* જૂના સોનાના એક્સચેન્જ અને રીસાયકલિંગનો ટ્રેન્ડ વધી શકે
* ગોલ્ડ લોન સામે લોકો વધુ વળે તેવી શક્યતા
ઝવેરી બજારમાં ગ્રાહકોની ખરીદી થોડા સમય માટે ધીમી પડી શકે
સરકારે આ પગલું કેમ ભરવું પડ્યું ?
* દેશની ચાલુ ખાતાની ખાધ 333.2 બિલિયન ડોલરે પહોંચી
* સોના-ચાંદી પાછળ જ 83.98 બિલિયન ડોલરનો ખર્ચ
* ક્રુડ ઓઈલ આયાતનું વધતું દબાણ
રૂપિયો નબળો પડવાની ચિંતા
* વિદેશી હુંડીયામણનો જથ્થો બચાવવાની જરૂર
* વૈશ્વિક યુદ્ધ અને અનિશ્ચિતતાને કારણે સરકાર સતર્ક
ઝવેરી બજારમાં શું ચર્ચા ?
વેપારીઓ માને છે કે માંગ સંપૂર્ણ ઘટશે નહીં
લગ્ન અને તહેવારોમાં ખરીદી ચાલુ જ રહેશે
ગ્રાહકો હળવા વજનના ઘરેણાં તરફ વળી શકે
ડાયમંડ અને સિલ્વર જ્વેલરીની માંગ વધી શકે
જૂના દાગીના ગાળી નવા બનાવવાનો ટ્રેન્ડ વધે તેવી શક્યતા સોનાની જગ્યાએ ડિજિટલ ગોલ્ડ અને ગોલ્ડ બોન્ડ તરફ પણ લોકો વળી શકે
આગામી સમયમાં સરકારના વધુ કડક પગલાં આવી શકે ?
* લક્ઝરી આયાતો પર વધુ નિયંત્રણોની શક્યતા
* ઈલેક્ટ્રોનિક્સ અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ પર પણ ડયુટી વધી શકે
* વિદેશી ખર્ચ ઘટાડવા નવા નિયમો આવી શકે
* સોના ખરીદી પર ટ્રેકિંગ વધુ કડક બનશે
* કસ્ટમ અને ડીઆરઆઈની કાર્યવાહી વધુ તેજ બનશે
* સરકાર લોકોમાં વૈકલ્પિક રોકાણ માટે અભિયાન શરૂ કરી શકે
આયાત ડયુટીના ફટકાથી સોના-ચાંદીમાં આગ : બજાર ખુલતાં જ ભાવ ઉછળ્યા
સોનામાં રૂા.11 હજારનો ઝંપલાવ, ચાંદી ફરી ત્રણ લાખની નજીક
કેન્દ્ર સરકારે સોના અને ચાંદીની આયાત પરની જકાતમાં મોટો વધારો જાહેર કરતાં જ સ્થાનિક કોમોડિટી બજારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. બજાર ખુલતાં જ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી. સોનાના ભાવમાં એક જ દિવસમાં રૂા.11 હજાર સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ચાંદી ફરી ત્રણ લાખના આંકડાની નજીક પહોંચી ગઈ હતી. વેપારીઓના મતે આયાત ડયુટી સીધી 15 ટકા સુધી વધારાતા બજારમાં તાત્કાલિક તેજીનું વાતાવરણ સર્જાયું છે.
કેન્દ્ર સરકારે સોના-ચાંદી પરની કુલ આયાત જકાત અગાઉના 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. આ નિર્ણયનો સીધો પ્રભાવ ભારતીય કોમોડિટી એક્સચેંજ પર જોવા મળ્યો હતો. સોનાના વાયદા ભાવ ઉઘડતાની સાથે જ ઝડપથી ઊંચકાયા હતા. દિવસ દરમિયાન સોનુ ઊંચામાં રૂા.1,64,497 સુધી પહોંચ્યું હતું અને અંતે આશરે રૂા.1,62,657ના સ્તરે કારોબાર નોંધાયો હતો. દિવસભરમાં અંદાજે રૂા.9 હજારથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.
ચાંદીમાં પણ ભારે તેજીનો માહોલ રહ્યો હતો. ચાંદીના ભાવ દિવસ દરમિયાન રૂા.3,01,429 સુધી પહોંચ્યા હતા. બાદમાં થોડો નફાવસૂલ વેચવાલીનો દબાણ આવ્યો છતાં ભાવ રૂા.2,96,812ની સપાટીએ નોંધાયા હતા. બજારમાં એક જ દિવસમાં રૂા.17 હજારથી વધુનો ઉછાળો જોવા મળતા ટ્રેડરોમાં દોડધામ મચી ગઈ હતી.
બજારના જાણકારો જણાવે છે કે સરકારના આ નિર્ણયથી આયાત ખર્ચ સીધો વધી ગયો છે. જેના કારણે વેપારીઓએ તરત જ ઊંચા ભાવની ગણતરી શરૂ કરી દીધી હતી. ખાસ કરીને ભારતમાં સોનાની માંગ સતત મજબૂત રહેતી હોવાથી બજારમાં સપ્લાય મોંઘી થવાની ભીતિએ ખરીદી તરફ દોડ લાગી હતી.
વિશ્વ બજારમાં જો કે સ્થિતિ તુલનાત્મક નબળી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો હતો, છતાં સ્થાનિક બજારમાં ડયુટીના કારણે જોરદાર તેજી રહી હતી. વેપારીઓનું કહેવું છે કે આ વધારો સંપૂર્ણપણે સરકારના આયાત જકાત વધારવાના નિર્ણયની અસર છે.
ઝવેરી બજાર સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક દિવસોથી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી હતી. તે પછી સરકાર કોઈ મોટું પગલું ભરી શકે તેવી અટકળો ચાલી રહી હતી. હવે આયાત ડયુટીમાં મોટો વધારો થતાં તે અટકળો સાચી સાબિત થઈ છે.
વેપારીઓના મતે શરૂઆતના એકાદ દિવસ બજારમાં ભારે અફરાતફરી અને તેજી રહી શકે છે. ત્યારબાદ ભાવ સ્થિર થવાની શક્યતા છે. જો કે, પહેલાથી જ ઊંચા ભાવના કારણે જ્વેલરી માર્કેટમાં ધંધો નબળો પડી ગયો હતો. હવે વધુ મોંઘવારીના કારણે ખરીદી પર વધુ અસર પડી શકે છે.
પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના સંકેત : ઓઈલ કંપનીઓની રોજ રૂા.1000 કરોડની ખોટ અસહ્ય, હરદીપ પુરીની સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે સોના-ચાંદી પરની આયાત જકાતમાં વધારો કર્યા બાદ હવે દેશભરમાં પેટ્રોલ, ડિઝલ અને ગેસના ભાવ વધશે કે કેમ તે અંગે ચર્ચા તેજ બની છે. આ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું છે કે પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણના ભાવમાં વધારો હંમેશા માટે રોકી શકાશે નહીં અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને ભાવવધારો કરવાનો નિર્ણય લેવો પડી શકે છે.
શ્રી પુરીએ જણાવ્યું હતું કે વૈશ્વિક કટોકટી અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં ભારત સરકારે દેશમાં ઈંધણનો પુરવઠો સંપૂર્ણ રીતે જાળવી રાખવામાં સફળતા મેળવી છે. હાલમાં દેશમાં પેટ્રોલ, ડિઝલ, સીએનજી, પીએનજી અને એલપીજીની કોઈ અછત નથી. તેમણે માહિતી આપી હતી કે ભારત પાસે અંદાજે 60 દિવસ પૂરતું ક્રુડ ઓઈલ અને 45 દિવસ પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે વધારો થયો હોવા છતાં દેશના ગ્રાહકો પર સીધી અસર ન પડે તે માટે સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ લાંબા સમયથી ભાવવધારો અટકાવ્યો છે. પરંતુ તેની સામે સરકારી ઓઈલ કંપનીઓને દરરોજ આશરે રૂા.1000 કરોડની નુકશાની સહન કરવી પડી રહી છે.મંત્રી પુરીએ ચેતવણીભર્યા સ્વરે કહ્યું હતું કે આ પ્રકારની સતત ખોટ લાંબા સમય સુધી સહન કરી શકાશે નહીં અને ભવિષ્યમાં પેટ્રોલ-ડિઝલ તથા ગેસના ભાવમાં વધારો અનિવાર્ય બની શકે છે. તેમના આ નિવેદન બાદ આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં વધારાની શક્યતાઓને લઈને લોકોમાં ચિંતા વધી છે.


