- યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં લાશનો પરિવારે અસ્વીકાર કર્યો
- ઓલમ ફૂડ ઈનગ્રેડિયન્ટસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં બનાવ બન્યો
- ઊંઝા પોલીસનો કાફલો પણ ફેકટરી ખાતે આવી પહોંચ્યો હતો અને બંદોબસ્તમાં ગોઠવાયો હતો.
સિદ્ધપુર ઊંઝા હાઈવે ઉપર આવેલી એક ફેકટરીમાં કામ કરતા બ્રાહ્મણવાડા ગામના યુવાનનું રહસ્યમય સંજોગોમાં ગુરૂવારની રાત્રે મોત નીપજતાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. ગુરૂવારે બનાવ બન્યા બાદ ફેકટરીના સંચાલક દ્વારા યુવાનને પહેલા ઊંઝા અને બાદમાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જે બાદ શુક્રવારે બપોર સુધી યુવાનની લાશ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પડી રહી હતી. બીજી તરફ મૃતક યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓના ટોળા ફેકટરીના બહાર ઉમટી પડતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સિદ્ધપુર ઊંઝા હાઈવે ઉપર બ્રાહ્મણવાડા નજીક જૈન મંદિરની સામે આવેલ ઓલમ ફૂડ ઈનગ્રેડિયન્ટસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ગુરૂવારે રાત્રે એક બનાવ બન્યો હતો. ફેકટરીમાં કામ કરતા બ્રાહ્મણવાડાના રહીશ પાવન દિલીપભાઈ પટેલ નામના 34 વર્ષિય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. ફેકટરીના સંચાલકો બનાવ બનતા પાવન પટેલને લઈને પહેલા ઊંઝાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર કરાવવા માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જે બાદ મૃતક યુવકના પરિવારજનોને બનાવની જાણ કરાતા પરિવારજનો પણ ફેકટરી અને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા. એક સમયે મૃતક યુવાનો મુતદેહ સ્વીકારવાની ના પાડતા શુક્રવારે સાંજ સુધી મૃતદેહ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પડી રહ્યો હતો. બપોરના સમયે મૃતક પાવન પટેલના સગા સંબંધીઓ ઓલમ ફુડ ઈનગ્રેડિયન્ટસની ફેકટરી બહાર એકત્રિત થઈ ગયા હતા જેથી ઊંઝા પોલીસનો કાફલો પણ ફેકટરી ખાતે આવી પહોંચ્યો હતો અને બંદોબસ્તમાં ગોઠવાયો હતો.
યુવાનના મૃતદેહનું કલાકો સુધી પોસ્ટમોર્ટમ થયું : લાશ સિવિલમાં પડી રહી ।
આ અણ બનાવમાં મોતને ભેટેલા પાવનનો મૃતેદહ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ કેસ કરવો કે નહીં તેની ચર્ચાઓ અને વળતર કેટલું મળે છે તેની રાહ જોઈને નિર્ણય કરવાની તજવીજમાં કલાકોનો સમય વીતી જતાં સિદ્ધપુર સિવિલમાં યુવાનની લાશ કલાકો સુધી પડી રહી હતી જેનું પોસ્ટમોર્ટમ કરવામાં પણ મોટો વિલંબ થયો હતો.
ઊંઝા પોલીસ અકસ્માતે મોતની નોંધ કરશે, પોસ્ટમોટમ કરાશે : પી.ડી. દરજી, પી.આઈ.
ઊંઝા પોલીસ મથકના પીઆઇ પી ડી દરજીએ સંદેશને જણાવ્યું હતું કે આ બનાવ અંગે મૃતકના પરિવારજનો તરફ્થી જાણવા જોગ આપવામાં આવી છે. જેને આધારે અમે અકસ્માતે મોતની નોંધ કરી મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. મૃતદેહ સિધ્ધપુર સિવિલમાં હોવાથી સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે જ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.
મામલો દબાવવા ફેકટરી સંચાલકો આર્થિક ગોઠવણની મથામણ શરૂ કરી હોવાની ચર્ચાઓ
આ આખો અણ બનાવ ઢાંકી દેવા માટે અને મૃતક પાવન પટેલના મોત મામલે કોઈ હોબાળો ના થાય તે માટે ફેકટરીના સંચાલકો દ્વારા મૃતક યુવકના પરિવારજનોને વળતરને નામે આર્થિક ગોઠવણ કરી આપવાની મથામણ શરૂ કરી હોવાની ભારે ચર્ચા ઉઠી હતી.


