- ભારતીય ટીમ 2012થી ઘરની ધરતી પર સતત ટેસ્ટ સીરિઝમાં અજેય
- રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક-કિશન પર સાધ્યું નિશાન
- ટેસ્ટ ક્રિકેટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે
ભારતીય ટીમે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે જીત મેળવી હતી અને આ સાથે સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ 2012થી ઘરની ધરતી પર સતત ટેસ્ટ સીરિઝમાં અજેય છે. ઘરની ધરતી પર ટીમ ઈન્ડિયાની આ સતત 17મી ટેસ્ટ સીરિઝ જીત છે. આ જીત બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાના સવાલોના જવાબ આપતાં તેણે એવા ખેલાડીઓ પર નિશાન સાધ્યું જેઓ ટેસ્ટ ક્રિકેટ રમવા નથી માંગતા અને માત્ર IPL મોડમાં જ જીવે છે. હાલમાં, એવા બે જ ખેલાડી છે, હાર્દિક પંડ્યા, જેણે ટેસ્ટ ક્રિકેટ રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જ્યારે અન્ય એક તેનો નવો શિષ્ય ઇશાન કિશન હોવાનું જણાય છે, જેણે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.
રોહિત શર્માએ શું કહ્યું?
રોહિત શર્માએ પોતાના નિવેદન દ્વારા હાર્દિક અને ઈશાનને ઈશારામાં જ કહ્યું છે. મેચ બાદ મીડિયાને સંબોધતા રોહિત શર્માએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે. તમે આ રમવા માટે ભૂખ્યા હોવા જ જોઈએ. કોણ ભૂખ્યું છે અને કોણ રમવા માંગતું નથી તે જાણવું સરળ છે. ટેસ્ટ ક્રિકેટમાં ઘણી મહેનત કરવી પડે છે. એટલે કે રોહિત શર્માએ સ્પષ્ટપણે એવા ખેલાડીઓને નિશાન બનાવ્યા જેઓ આ ફોર્મેટથી દૂર રહે છે.
હાર્દિક પંડ્યાના રસ્તે ચાલ્યો ઇશાન કિશન
રોહિતનું આ નિવેદન સ્પષ્ટપણે હાર્દિક પંડ્યા માટે હતું જે 2018થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. તાજેતરમાં જ પોતાના મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન સાથે મિત્રતા નિભાવતો જોવા મળતા ઈશાન કિશન પણ હાર્દિકના માર્ગને ચાલ્યો છે. જેમ હાર્દિક લાલ બોલથી ક્રિકેટ નથી રમતો તેમ ઈશાન પણ તે જ કરી રહ્યો છે. ઇશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે માનસિક થાકનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ તે ઈંગ્લેન્ડ સીરિઝમાં પણ રમ્યો ન હતો. જે બાદ તેણે ટીમ મેનેજમેન્ટના રણજી રમવાના આદેશને વારંવાર નકારી કાઢ્યા હતા. ઈશાન કિશન ઘણીવાર હાર્દિક સાથે અને જીમ સેશનમાં આઈપીએલની તૈયારી કરતો જોવા મળ્યો હતો.
યંગિસ્તાને અંગ્રેજોને હરાવ્યા
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી, મોહમ્મદ શમી, કેએલ રાહુલ વગર અજાયબી કરી બતાવી. ભારતના યુવા ખેલાડીઓએ અંગ્રેજોને હરાવ્યા હતા. સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો. તે પછી ભારતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને સતત ત્રણ મેચમાં જીત અપાવી હતી. એટલું જ નહીં, આ સાથે જ ભારતે પાંચ મેચની સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બેન સ્ટોક્સની કપ્તાની અને બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ ઈંગ્લેન્ડની આ પ્રથમ સીરિઝની હાર છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ અનુભવી ખેલાડીઓ વિના શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, આકાશદીપ, ગિલ જેવા ખેલાડીઓએ ટીમની નૈયા પાર કરાવી હતી.


