- કોર્ટે શાહજહાંની ધરપકડ સામે ક્યારેય મનાઈ નથી ફરમાવી
- ધરપકડ થવી જોઈએ, ન્યાયપાલિકાને વચ્ચે લાવવાની જરૂર નથી : હાઇકોર્ટ
- ધરપકડ સામે મનાઈ ફરમાવવા કરેલી અરજીને હાઇકોર્ટ ફગાવી ચૂકી છે
સંદેશખાલી કેસમાં કલકત્તા હાઇકોર્ટે પિૃમ બંગાળની મમતા સરકાર સામે કડક વલણ અખત્યાર કરતાં કહ્યું કે બાહુબલી ટીએમસી નેતા શાહજહાં શેખની તાકીદે ધરપકડ થવી જોઈએ. સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના મળતિયા તેમનું શોષણ કરતા હતા જબરજસ્તીથી જમીનો હડપી લેતા હતા. શાહજહાં શેખના નિવાસે પહોંચેલી ટીમ પર હુમલો થયો તે પછી શાહજહાં શેખ ફરાર છે. ઉલ્લેખનીય છે કે શાહજહાં શેખે તેમની ધરપકડ સામે મનાઈ ફરમાવવા કરેલી અરજીને હાઇકોર્ટ ફગાવી ચૂકી છે. હાઇકોર્ટની ફટકાર બાદ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે શાહજહાં શેખની સાત દિવસની અંદર ધરપકડ કરાશે.
કલકત્તા હાઇકોર્ટે સંદેશખાલી ઘટનાક્રમની નોંધ લેતાં સુનાવણી શરૂ કરી હતી. હાઇકોર્ટના જજે ટીએમસી સાંસદ અભિષેક બેનરજી અને બંગાળના અન્ય નેતાઓએ કરેલી ટિપ્પણીઓની પણ ગંભીર નોંધ લેતાં કહ્યું હતું કે કોર્ટે શાહજહાં શેખની ધરપકડ સામે ક્યારેય મનાઈ નથી ફરમાવી. તેની ધરપકડ થવી જોઈએ. અભિષેક બેનરજીએ રવિવારે કહ્યું હતું કે ફરાર નેતા શાહજહાંની ધરપકડમાં ન્યાયપાલિકાને કારણે વિલંબ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે સંદેશખાલીનો મુદ્દો સળગતો રહે તે માટે ન્યાયપાલિકાના માધ્યમથી શાહજહાંને સુરક્ષિત કરાઈ રહ્યો છે. અભિષેકે કહ્યું હતું કે પાર્થ ચેટરજી અને જ્યોતિપ્રિય મલ્લિક જેવા ટીએમસી નેતાઓની ધરપકડ થઈ ચૂકી છે તો શાહજહાં શેખ વળી કોણ છે. તેની પણ તરત ધરપકડ થવી જોઈએ.
રાજ્ય પોલીસ દ્વારા તપાસ પર હાઇકોર્ટે મનાઈ ફરમાવી હતી
હકીકેત રાશન કૌભાંડ કેસમાં ઈડીની ટીમ શાહજહાં શેખના સરનામે તપાસ કરવા પહોંચી ત્યારે શાહજહાંના સહયોગીઓએ ટીમ પર હુમલો કરી દીધો હતો. કલકત્તા હાઇકોર્ટે તે પછી ઈડી અને રાજ્ય પોલીસ ટીમને સાથે મળીને તપાસ ટીમ બનાવવા કહ્યું હતું. ઈડીએ થોડા દિવસ પછી તે આદેશ પર મનાઈ હુકમ મેળવી લીધો હતો. તે પછી રાજ્ય પોલીસ અને ઈડી એમ બંનેએ સ્વતંત્ર તપાસની માગણી કરતાં ખંડપીઠે 7 ફેબ્રુઆરીના રોજ રાજ્ય પોલીસ દ્વારા તપાસ સામે મનાઈ ફરમાવી દીધી હતી.


