- મિશન ગગનયાનના 4 અવકાશયાત્રીઓના નામ જાહેર
- પીએમ મોદીએ પહેરાવી એસ્ટ્રોનોટ વિંગ
- ચારેય છે ભારતીય વાયુ સેનાના ટેસ્ટ પાયલટ
પીએમ મોદીએ ગગનયાન મિશનના ચાર અવકાશયાત્રીઓને એસ્ટ્રોનોટ વિંગ પહેરાવીને દુનિયા સમક્ષ જાહેર કર્યા છે. તેમના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે. પીએમ મોદીએ આ ચારને દુનિયા સમક્ષ રજૂ કર્યા. તેઓ ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઈલટ છે.
આ રીતે ખાસ છે આ 4 અવકાશયાત્રી
આ ચારેય અવકાશયાત્રી દેશના તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવ્યા છે. તેઓ દરેક પ્રકારના ફાઇટર જેટ્સની ખાસિયત અને ખામી જાણે છે તેથી જ તેઓને ગગનયાન માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. તેઓની ટ્રેનિંગ રશિયામાં થઇ છે. જો કે હાલમાં પણ તેઓ બેગ્લુરુમાં એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફૈસિલિટીમાં ટ્રેનિગ લઇ રહ્યા છે.
આ રીતે પસંદ કરાયા અવકાશયાત્રી
ગગનયાન મિશન માટે સેંકડો પાઇલોટ્સનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પછી 12ની પસંદગી કરવામાં આવી હતી. આ 12 પ્રથમ સ્તર પર આવ્યા હતા. તેમની પસંદગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિન (IAM)માં થઈ હતી. આ પછી પસંદગી પ્રક્રિયાના અનેક રાઉન્ડ પૂર્ણ થયા. ત્યારબાદ ઈસરો અને એરફોર્સે ચાર ટેસ્ટ પાઈલટના નામ ફાઈનલ કર્યા. આ પછી ઈસરોએ આ ચારને 2020ની શરૂઆતમાં રશિયા મોકલ્યા જેથી તેઓ મૂળભૂત અવકાશયાત્રી તાલીમ લઈ શકે. કોવિડ-19ને કારણે તેમની તાલીમમાં વિલંબ થયો હતો. જો કે વર્ષ 2021થી ચારેય સતત તાલીમ લઈ રહ્યા છે. અનેક પ્રકારની તાલીમો થઈ રહી છે.
આ પ્રોજેક્ટ્સનું કર્યુ ઉદ્ઘાટન
પીએમ મોદી લગભગ 1800 કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યુ.. જેમાં શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી, સેમી-ક્રાયોજેનિક ઈન્ટિગ્રેટેડ એન્જિન અને મહેન્દ્રગિરિમાં ઈસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી અને VSSC ખાતે ટ્રાઈસોનિક વિન્ડ ટનલનો સમાવેશ થાય છે. PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી દ્વારા દર વર્ષે લોન્ચ થનારા 6 PSLV રોકેટની ક્ષમતા વધારીને 15 કરવામાં આવશે.


