- તમામ 8 અધિકારીઓની થઈ હતી એક સાથે મુક્તિ
- કમાન્ડર પુર્ણેંદુ તિવારી પર લાગ્યા છે મુસાફરી પ્રતિબંધો
- આ અથવા આગામી સપ્તાહે વતન ફરશે પુર્ણેંદુ તિવારી
ભારત સરકારે તાજેતરમાં જ કતારની જેલોમાં સજા કાપી રહેલા પોતાના 8 નૌસેનાના પૂર્વ અધિકારીઓને મુક્ત કરાવવામાં સફળતા મેળવી છે. તેમાંથી 7 અધિકારીઓ તો વતન પરત આવી ગયા હતા પરંતુ એક અધિકારી હજુ પણ કતારમાં ફસાયેલ છે. લોકો જાણવા માંગે છે કે 2 અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં આખરે આ અધિકારી ભારત કેમ પરત નથી ફરી શક્યા. જો તમને પણ આવા સવાલો થઈ રહ્યા છે તો તેનો જવાબ આખરે મળી ગયો છે અને સાથે સાથે એક સુખદ સમાચાર પણ મળ્યા છે કે તેઓ ટૂંક સમયમાં ભારત પરત આવી શકે છે.
કમાન્ડર પુર્ણેંદુ તિવારી પર લાગેલા છે મુસાફરી પ્રતિબંધો
કતારની જેલમાંથી મુક્ત થયા બાદ 12 ફેબ્રુઆરી સુધી 7 અધિકારીઓ તો ભારત પરત આવી ગયા છે, જ્યારે કમાન્ડર પુર્ણેંદુ તિવારી પર લગાવવામાં આવેલા મુસાફરીના પ્રતિબંધોને લીધે તેઓ હજુ સુધી ભારત પરત ફરી શક્યા નહોતા. એટલું જ નહિ કમાન્ડર પુર્ણેંદુ તિવારી અન્ય એક કેસમાં પણ ફસાયેલા છે. આ કારણે તેઓ હજુ સ્વદેશ પરત ફરી નથી શક્યા.
આમ તો પુર્ણેંદુ તિવારીને તેમના સાથીઓની સાથે જ કતાર સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી હતી. જેવા તેમની પર લાગેલ મુસાફરી પર પ્રતિબંધના કેસો ક્લિયર થઈ જશે, તેઓ ભારત આવવા માટે ટેક ઓફ કરશે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે ચાલુ સપ્તાહમાં અથવા આગામી સપ્તાહની શરૂઆતમાં તેઓ ભારત આવી જશે.
પૂર્ણેંદુના માતા જોઈ રહ્યા છે રાહ
મીડિયા અહેવાલ મુજબ, પૂર્ણેંદુના ભારત પરત ફરવાની અગાઉથી જાહેરાત કરવામાં નહીં આવે. આ બાજુ દેશમાં તેમના માતા તેમની આતુરતાથી રાહ જોઈ રહી છે. તેમના માતાની હાલની ઉંમર 85 વર્ષ છે.
વતન વાપસી થતાં અધિકારીઓએ માન્યો પીએમ મોદીનો આભાર
કતારની જેલમાંથી છૂટીને ભારત પહોંચેલા અધિકારીઓ ઘણા ખુશ જણાયા હતા. આ દરમિયાન તેમણે નવી દિલ્હી એરપોર્ટની બહાર પીએમ મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. એરપોર્ટની બહાર નીકળતી વખતે તેઓ ભારત માતા કી જયના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા.


