- શાહબાઝે કાશ્મીરની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી
- ગાઝાની સ્થિતિ પર વૈશ્વિક મૌન જોઈ શકાય છે : PM શાહબાઝ
- કાશ્મીરીઓ અને પેલેસ્ટાઈનીઓની આઝાદી માટે ઠરાવ પસાર કરવો જોઈએ : PM શાહબાઝ
લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મુકતા આખરે પાકિસ્તાનને પોતાના PM મળ્યા છે. પૂર્વ PM નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફને પાકિસ્તાનની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ PM બન્યા બાદ શાહબાઝ શરીફે પોતાના પહેલા સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી હતી.
શાહબાઝ શરીફનું પ્રથમ સંબોધન
પાકિસ્તાનના નવા ચૂંટાયેલા PM શેહબાઝ શરીફે તેમના પ્રથમ સંબોધનમાં દેશના પડોશીઓ સહિત તમામ મોટા દેશો સાથે સંબંધો સુધારવાનું વચન આપ્યું હતું. શાહબાઝે કહ્યું કે, પાકિસ્તાન કોઈપણ રમતનો ભાગ નહીં બને. તેમણે પડોશીઓ સહિત તમામ મોટા દેશો સાથે સંબંધો બનાવવા અને સુધારવાનું વચન આપ્યું હતું. તેમણે ગઠબંધન સરકારમાં તેમના સાથીદારોનો તેમના પર વિશ્વાસ કરવા અને તેમને ગૃહના નેતા બનાવવા બદલ આભાર માન્યો હતો. શાહબાઝે વધુમાં કહ્યું કે જ્યારે નવાઝ ત્રણ વખત PM તરીકે ચૂંટાયા ત્યારે દેશમાં જે વિકાસ થયો તે પોતાનામાં એક ઉદાહરણ છે અને એ કહેવું ખોટું નથી કે નવાઝ શરીફે પાકિસ્તાનનું નિર્માણ કર્યું છે.
દેવાથી ડૂબેલા પાકિસ્તાનનો ઉલ્લેખ
શાહબાઝે પાકિસ્તાનના દેવાની ચુકવણીના બોજ વિશે વાત કરતા કહ્યું કે, દેશને અબજો રૂપિયા માત્ર વ્યાજ તરીકે ચૂકવવા પડે છે. શરીફે કહ્યું કે પાવર જનરેટ કરતી કંપનીઓ પર વધતા દેવાને કારણે દેશમાં ઉર્જા ક્ષેત્ર પડી ભાંગી રહ્યું છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ જેવી સરકાર હસ્તકની સંસ્થાઓ અબજો રૂપિયાની ખોટમાં ચાલી રહી છે. પોતાના સંબોધનમાં શરીફે દેશને વિકાસના માર્ગ પર લઈ જવાનો વાયદો કર્યો હતો. શરીફે કહ્યું કે હું, સમય નથી કહી શકતો પરંતુ અમે જે વિવિધ પગલાં લઈશું તેના સકારાત્મક પરિણામો એક વર્ષ પછી આવવાનું શરૂ થશે. શરીફે કહ્યું કે, તેઓ પાકિસ્તાનને આત્મનિર્ભર બનાવશે. શરીફ નવાઝનું વિઝન અને શાહબાઝનું મિશન સૂત્ર આપ્યું હતું.
વિપક્ષ પર હુમલો કર્યો
PTI અને ઈમરાન ખાન પર પ્રહાર કરતા શરીફે કહ્યું કે, PTIએ મહિલાઓ અને બાળકોની પરવા કર્યા વિના સમગ્ર વિપક્ષને જેલના સળિયા પાછળ ધકેલી દીધE અને એવી ભાષાનો ઉપયોગ કર્યો જે મોટેથી કહી શકાય નહીં. આ નેતૃત્વ અને તે નેતૃત્વ વચ્ચેનો તફાવત છે. આખી વિધાનસભા એ વાતની સાક્ષી છે કે અમે ક્યારેય બદલાની રાજનીતિ વિશે વિચાર્યું નથી.પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વરિષ્ઠ નેતા શહેબાઝ શરીફ પાકિસ્તાનના આગામી PM તરીકે ચૂંટાયા છે. તેમને 201 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ ઓમર અયુબ ખાનને 90 વોટ મળ્યા.


