- દિવસની સિંચાઈ માટેની વિજળી મળતી હોવાનો સરકારનો દાવો
- રાત્રે ખેતરોમાં પાણી વાળવા જતા ખેડૂતોને ઝેરી જન જનાવરનો ભય રહેતો હોય છે
- યોજનાથી વંચિત હોવાનો ખુલાસો વિધાનસભા ગૃહમાં થયો છે
રાજ્યના ધરતીપુત્રો દિવસે સળંગ આઠ કલાક વિજળી સિંચાઈ માટે મળી રહે તે માટે સરકારને રજુઆતો કરી રહ્યા છે. રાજ્ય સરકારે કિસાન સુર્યોદય નામે દિવસે વિજળી આપવા કમર કસી છે. છતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજુ પણ 800થી વધુ ગામો આ યોજનાથી વંચિત હોવાનો ખુલાસો વિધાનસભા ગૃહમાં થયો છે.
તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર સમયે કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે સિંચાઈ માટે સળંગ આઠ કલાક વિજળી મળી રહે તેવો યોજનાનો આશય રહેલો છે. શિયાળામાં કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરોમાં પાણી વાળવા જતાં ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હાડ થીજવતી ઠંડીમાં ખેડૂતો ઠરી જતા હોય છે. એટલુ જ નહી, નિલગાય, જંગલી ભુંડ જેવા જાનવરોનો રાત્રે ભારે ત્રાસ રહેતો હોય છે. રાત્રે એકલ દોકલ ખેડૂત પર જંગલી જાનવર હુમલો કરી બેસવાનો ભય પણ રહેતો હોય છે. ચોમાસામાં રાત્રે સાપ જેવા ઝેરી જાનવરો કરડી જાય તેવી દહેશત પણ રહેતી હોય છે. રાત્રે શિયાળાના અને ચોમાસાના દિવસોમાં ખેત મજુરો પણ ખેતરોમાં પાણી વાળવા જતાં ખચકાતા હોય છે. આ બધા કારણોસર ખેડૂતો દિવસની સળંગ આઠ કલાક ગુણવત્તાયુક્ત વિજળી સિંચાઈ માટે મળે તેવી સરકારને રજુઆતો કરતા હોય છે. બીજી તરફ રાજ્ય સરકાર પણ કિસાન સુર્યોદય યોજના હેઠળ વધુમાં વધુ ગામોને આવરી લેવાય તે માટે પ્રયત્નશીલ છે. આ અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે તા. 31-12-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલા ગામોને કિસાન સુર્યોદય યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે ? જેના જવાબમાં સરકારે આંકડા રજુ કર્યા છે. જે પ્રમાણે સાબરકાંઠાના 449 અને અરવલ્લી જિલ્લાના 385 એમ કુલ મળીને 834 ગામોનો આ યોજના હેઠળ છેલ્લા બે માસમાં સમાવેશ કરાયો છે. જ્યારે સાબરકાંઠાના 400 અને અરવલ્લી જિલ્લાના 443 મળી કુલ 843 ગામો હજુ પણ આ યોજનાથી વંચિત છે.
પ્રવહન માળખાના સશક્તીકરણની જરૂરિયાત : સરકાર
આ યોજના હેઠળ ગામો કેમ બાકી રહ્યા છે ? તે અંગે સરકારે રજુ કરેલા જવાબ મુજબ જરૂરી માળખાગત સુવિધાઓ, વીજ પ્રવહન, વીજ વિતરણ વ્યવસ્થા, નાણાંકીય આયોજનને ધ્યાને લઈને યોજનાનુ તબક્કાવાર અમલીકરણ થાય છે. યોજનાના અમલ પહેલા જે તે જિલ્લાના લોકલ એરીયાના હાલના તેમજ વધારાના વીજ ભારણને ધ્યાનમાં રાખીને પ્રવહન માળખાના સશક્તિકરણની જરૂરીયાત રહે છે. બાકી રહેતા ગામોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનુ સરકારનુ આયોજન છે.


