- રાજધાની મોગાદિશુમાં એસવાયએલ હોટલ પર આતંકી હુમલો
- સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી 13 કલાક અથડામણ
- ઘાયલોમાં નૌસેના અધિકારીઓ અને ધારાસભ્યોનો પણ સમાવેશ
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અલ-શબાબ જેહાદીઓ દ્વારા રાષ્ટ્રપતિ ભવન પાસેની એક પ્રખ્યાત હોટલને નિશાન બનાવવામાં આવી છે. આ દરમિયાન 3 લોકોના મોત થયા છે. આધુનિક હથિયારોથી સજ્જ જેહાદીઓએ ગુરુવારે 14 માર્ચના રોજ મોડી રાત્રે હોટલ પર ગોળીબાર કર્યો હતો.
હોટલનું નામ એસવાયએલ હોવાનું જાણવા મળી રહ્યું છે. શુક્રવારે 15 માર્ચના રોજ માહિતી શેર કરતી વખતે, સુરક્ષા દળોએ કહ્યું છે કે છેલ્લા 13 કલાકના સખત સંઘર્ષ બાદ તેમણે સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું છે.
3 લોકોના મોત, 27 ઘાયલ
સોમાલિયા પોલીસના પ્રવક્તા કર્નલ કાસિમ અહેમદ રોબલેએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને 27 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 18 નાગરિકો અને 9 નૌસેના અધિકારીઓનો સમાવેશ થાય છે.
સોમાલિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઘાયલોમાં ત્રણ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. આત્મઘાતી હુમલામાં 5 હુમલાખોરોના પણ મોત થયા હતા. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હોટલમાં લાંબી અથડામણ બાદ હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.
આ પહેલીવાર નથી જ્યારે એસવાયએલ હોટેલ પર હુમલો થયો હોય. ભૂતકાળમાં પણ હુમલાખોરોએ આ હોટેલને નિશાન બનાવી છે. જો કે આ વખતે પવિત્ર રમઝાન માસમાં આ ઘટના બની છે. આ ખૂબ શરમજનક છે.


