૧3 કનેકશનમાંથી ૪૦ ઓરડીમાં ગેરકાયદે છેડા અપાયા હતા
હવે મંછાનગરની ૧૦૦૦ ઓરડીમાં ગેરકાયદે કનેકશનો અંગે તપાસ થશે
શહેરના મંછાનગર અને ગોકુલનગર આવાસ તથા સરકારી જમીન પર ગેરકાયદે દબાણના મામલે મનપાની તપાસ સમિતિએ કેટલીક ગેરરીતીઓ શોધી કાઢી છે. જેમાં કવાની શેરીમાં ૧3 વીજ કનેકશનમાંથી ૪૦ છેડા આપવામાં આવ્યા હતાં. તેમજ મંછાનગરની ૧૦૦૦ ઓરડીમાં હવે સર્વે થનાર છે. જેમાં મોટી ગેરરીતિ બહાર આવે તેવી શકયતા છે.
રાજકોટના માર્કેટ યાર્ડની પાછળ આવેલા મંછાનગર વિસ્તારમાં સરકારી જમીનમાં ઓરડીઓ ચણી ભાડે આપી દેવાના કૌભાંડનો પર્દાકાશ થયા બાદ તેમાં વીજ કનેકશનો મેળવવામાં પણ કૌભાંડીઓએ રાજકોટ મહાનગરપાલિકાને ગેરમાર્ગે દોરી ઝુંપડપટ્ટી હોવાનું દર્શાવી પત્ર મેળવી લીધાની બહાર આવી છે જે ધ્યાન પર આવતા પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા મંછાનગર વિસ્તારમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સર્વે હાથ ધરવાનો નિર્ણય કરાયો છે અને વિવાદાસ્પદ કવાભાઇની શેરીમાં તાકીદે સર્વે હાથ ધરતા તેમાં ૧3 વીજ કનેકહનમાંથી ૪૦ ઓરડીને વીજ સપ્લાય કરવામાં આવતો હોવાની ચોંકાવનારી હક્કિત પ્રકાશમાં આવી હતી.
પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના એકિઝકયુટીવ એન્જિનિયર બી.સી.રાઠોડે જણાવ્યું હતું કે મંછાનગર વિસ્તારના તમામ વીજ કનેકશનો કેવી રીતે આપ્યા તેના દસ્તાવેજી પુરાવા ચકાસતા ૨૦૦3, ૨૦૦૭, ૨૦૦૮થી લઇને ૨૦૧૮-૧૯ સુધીના વિવિધ વર્ષોમાં રાજકોટ મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ વિભાગે ભલામણ કરતા ઝુંપડપટ્ટી માટે વીજ કનેકશનો આપ્યાનું બહાર આવ્યું છે. આ વિસ્તારમાં કુલ ૧3 શેરી આવેલી છે. તમામ શેરીઓમાં ડાબી અને જમણી બાજુ આવેલા સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ કનેકશનોનો સર્વે હાથ ધરવા નિર્ણય લેવાયો છે. હાલમાં માર્ચ એન્ડિંગની કામગીરી ચાલુ છે અને રિકવરીની કામગીરી પણ ચાલુ હોવાથી સ્ટાફની મર્યાદાને કારણે માર્ચના અંત સુધી સર્વે કરી શકાશે નહી. પરંતુ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મંછાનગરમાં સર્વે હાથ ધરવામાં આવશે.
હાલ પૂરતું કવાભાઇની શેરીમાં વીજ કનેકશન અંગે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧3 વીજ કનેકશનમાંથી ૪૦ ઓરડીમાં વીજ કનેકશનો અપાયાની હક્કિત બહાર આવી છે. જયારે આ વીજ કનેકશન કોના નામે છે. જો ઝુંપડપટ્ટી માટે વીજ કનેકશનો અપાયા હોય તો દરેક ઓરડીમાં વીજ કનેકશન હોવા જોઇએ તેના બદલે એક કનેકશનમાંથી અનેક ઓરડીમાં વીજ કનેકશન કેવી રીતે આપવામાં આવ્યા? તે પણ તપાસનો વિષય છે. આ પ્રકરણમાં પીજીવીસીએલના અમુક અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકાની શંકા સેવાઇ રહી છે.


