- સોમવારે 1લી એપ્રિલે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપીમાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતીની અરજી પર સુનાવણી કરી
- ભોંયરામાં પ્રવેશ દક્ષિણમાં અને મસ્જિદની એન્ટ્રી ઉત્તરમાં હોવાથી એકબીજાને અસર કરતાં નથીઃ ચીફ જ્સ્ટીસ
- નીચલી અદાલતે 31 જાન્યુઆરીએ પોતાના આદેશમાં હિન્દુઓને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી
સોમવારે (1 એપ્રિલ), સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી. મસ્જિદ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે નીચલી અદાલતે આદેશનો અમલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો હતો, પરંતુ સરકારે તેનો તરત જ અમલ કર્યો હતો. અમને હાઈકોર્ટમાંથી પણ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે આને તાત્કાલિક અટકાવવું જોઈએ.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ મામલે નોટિસ જારી કરી હતી
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ મામલે નોટિસ જારી કરી હતી અને અન્ય તારીખે સુનાવણીનો સંકેત આપ્યો હતો. જો કે, મસ્જિદ પક્ષના વકીલે તેમની દલીલો રજૂ કરી પૂજા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે ભોંયરામાં પ્રવેશ દક્ષિણ તરફથી છે અને મસ્જિદની એન્ટ્રી ઉત્તર તરફથી છે. બંને એકબીજાને અસર કરતા નથી. અમે નિર્દેશ કરીએ છીએ કે હાલમાં બંને પૂજા પોતપોતાના સ્થાનો પર ચાલુ રહે.
વ્યાસ પરિવારના વકીલ શ્યામ દિવાને ઔપચારિક નોટિસ જારી કરવાનો વિરોધ કર્યો
વ્યાસ પરિવારના વકીલ શ્યામ દિવાને ઔપચારિક નોટિસ જારી કરવાનો વિરોધ કર્યો હતો. વકીલે કહ્યું કે નીચલી અદાલતોમાં હજુ આ કેસનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી. આ સમયે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મસ્જિદ સમિતિ SC પહોંચી
વાસ્તવમાં, અંજુમન મસ્જિદ વ્યવસ્થા સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેમાં મસ્જિદના દક્ષિણી ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપતા નીચલી અદાલતના આદેશને યથાવત રાખવામાં આવ્યો હતો. આ સમિતિ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની બાબતોનું સંચાલન કરે છે. નીચલી અદાલતે 31 જાન્યુઆરીએ પોતાના આદેશમાં હિન્દુઓને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી.
26 ફેબ્રુઆરીએ તેમની અરજી ફગાવી દેવામાં આવી
આ પછી કમિટી હાઈકોર્ટમાં ગઈ, જ્યાં 26 ફેબ્રુઆરીએ તેમની અરજી ફગાવી દેવામાં આવી. હાઇકોર્ટે કહ્યું હતું કે 1993માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જ્ઞાનવાપીના દક્ષિણ ભોંયરામાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા રોકવાનો નિર્ણય ગેરકાયદેસર હતો. કોઈપણ લેખિત આદેશ વિના રાજ્યની ગેરકાયદેસર કાર્યવાહી દ્વારા પૂજા બંધ કરવામાં આવી હતી.


