તમામ ઉમેદવારોના ખર્ચની ગતિવિધિ પર નજર રખાશે : એજી ઓફિસના ઓડિટ ઓફિસરોને ખાસ ફરજ સોંપાઇ
ચૂંટણી તંત્રએ આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ ઉમેદવારોની બેઠકવાર વહેંચણી કરી અધિકારીઓને નિરીક્ષક તરીકે નિમણુંક કરી દેવામાં આવતા હવે એજી ઓફિસના અનુભવી ઓડિટ ઓફિસરો જયારથી ઉમેદવારી પત્રો ભરાશે ત્યારથી ઉમેદવારના ખર્ચ પર રાઉન્ડ ધ કલોક નજર રાખશે. જે તે રિપોર્ટ છે તે સ્થાનિક કચેરીને મોકલવામાં આવશે અને સ્થાનિક ચૂંટણી અધિકારી જરૂર પડયે રાજય અને કેન્દ્ર સરકાર સુધી ખાસ કિસ્સામાં મોકલશે.
આઈ.આર.એસ. કેડરના આ અધિકારીઓ સંભવતઃ આગામી સપ્તાહથી માંડીને ચૂંટણી સંપન્ન થતાં સુધીમાં અલગ- અલગ ત્રણ તબક્કે પોતપોતાનાં મતવિસ્તારની મુલાકાત લઈ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર તથા એ સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા કરાતી કામગીરી પર વોચ રાખીને સીધા જ ચૂંટણી પંચને પોતાનો રિપોર્ટ સોંપતાં રહેશે. આ મુલાકાતો દરમિયાન જાહેર જનતામાંથી પણ કોઈને ચૂંટણી ખર્ચ સંબંધિત કશીક પણ ગતિવિધિ સામે ફરિયાદ હોય તો તેમને મળી શકશે.
કોઈપણ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા જે- તે રાજ્ય સિવાયનાં રાજ્યમાંથી આઈએએસ, આઈઆરએસ તેમજ આઈપીએસ કેડરનાં ઓફિસરોની જનરલ ઓબ્ઝર્વર, એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને સ્પેશ્યલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાતી હોય છે. ગુજરાતની ૨૬ બેઠકો માટે આ પૈકીના એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સની નામાવલિ કેન્દ્રીય ચૂંટણી પંચે તેમના મોબાઈલ નંબરો સાથે પંચની સત્તાવાર વેબસાઈટ પર મુકી છે. તદ્દનુસાર, રાજકોટમાં આઈઆરએસ (સી એન્ડ સીઈ) કેડરના વર્ષ ૨૦૦૪ની બેચના માધબચંદ્ર મિશ્રા, સુરેન્દ્રનગર બેઠક માટે સમાન કેડરના અમિતકુમાર મિશ્રા, ભાવનગરમાં એ જ કેડરના મ્રિનાલ પ્રકાશ મિશ્રા, જૂનાગઢ માટે ૨૦૦૭ની બેચના આઈઆરએસ કેડરના રજત દત્તા, જામનગરમાં ૨૦૦૮ના આઈઆરએસ અવિજિત મિશ્રા, પોરબંદરમાં સમાન કેડરનાં આર. કવિથા અને અમરેલી બેઠક માટે ૨૦૦૯ બેચના આઈઆરએસ શ્રીનિવાસુ કોલીપક્કાની નિમણૂક થઈ છે.
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે જણાવ્યું કે રાજકોટના ખર્ચ ઓબર્ઝવર માધબચંદ્ર મિશ્રાની પ્રથમ મુલાકાત ક્યારે હશે તેની વિગતો હજુ આવી નથી પરંતુ તે ત્રણ વખત મતવિસ્તારની મુલાકાતે આવશે. અત્રે નોંધનીય છે કે આદર્શ આચારસંહિતા અમલી બનતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે જે- તે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના ખર્ચ પર નિરીક્ષણ કરવા નિમાયેલાં નિરીક્ષકો તેમના મતવિસ્તારના ઉમેદવારો દ્વારા થતા ખર્ચની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખશે. રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી ચૂંટણી સભા, રેલી વગેરેનાં આયોજન અનુસંધાને મંડપ, સ્ટેજ, ફનચર, ભોજન, ચા- નાસ્તો અને આનુસંગિક આઈટમ જેવી કે સાઉન્ડ સિસ્ટમ, ટીવી વગેરેના ઉપયોગ પાછળ ઉપરાંત માધ્યમો મારફત કરાતા ચૂંટણી પ્રચાર પાછળ જે ખર્ચ થાય તે આ માટેના નિયત ખર્ચ મુજબ રજિસ્ટરમાં ઉધારવામાં આવે છે કે કેમ તેના પર વોચ રખાશે.
આ નિરીક્ષકોને પ્રજાજનો સ્થાનિકે કયા દિવસે કયા સ્થળે અને કયા સમયે મળી શકશે એ વિગતો તથા તેમના સ્થાનિક- વિશેષ સંપર્ક નંબરો સંભવતઃ નજીકના દિવસોમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવશે, પરંતુ હાલના તેમના મોબાઈલ નંબરો પંચ દ્વારા જારી કરાયેલાં લિસ્ટમાં વેબસાઈટ પર જોઈ શકાય છે.
બેઠક ખર્ચ નિરીક્ષક સંપર્ક નંબર
જૂનાગઢ રજત દત્તા ૮૯૦૨૧ ૯૬૫૯૦
જામનગર અવિજિત મિશ્રા ૯૪૭૭3 3૧૫૭૨
પોરબંદર આર. કવિથા ૯૪૦૮૭ ૯૨૦૪૮
અમરેલી શ્રીનિવાસુ કોલીપક્કા ૯૪૨૨૪ ૪૦૯33
રાજકોટ માધબ ચંદ્ર મિશ્રા ૯3333 ૧૫૦૬૬
સુરેન્દ્રનગર અમિતકુમાર મિશ્રા ૭૭૦૪૦ ૭૦૮૦3
ભાવનગર મ્રિનલ પ્રકાશ મિશ્રા ૯૯૧૧૫ ૮૭૦૬૭


