- ‘રૂપાલાએ અંતર આત્માનો અવાજ સાંભળવો જોઈએ’
- ‘રૂપાલાએ પોતે જ ચૂંટણી ના લડવાની જાહેરાત કરવી જોઈએ’
- ‘માં ખોડલને પ્રાથના છે કે રુપાલા પોતે જ ચૂંટણીમાં હટી જાય’
એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન અંગે તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે, રૂપાલા પાંચ લાખ વાર માંફી માગે તો પણ માફી નહીં આપવામાં આવે.
ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે પદ્મિનીબા વાળાએ કહ્યું કે, રુપાલાએ અંતર આત્માનો અવાજ સાંભળવો જોઈએ. પોતે જ ચૂંટણી ના લડવાની જાહેરાત કરવી જોઈએ.
આ સાથે જ આવતીકાલના સંમેલન અંગે પદ્મિનીબાએ જણાવ્યું કે, આવતીકાલના સંમેલનમાં રાજસ્થાનના ક્ષત્રિયો પણ હાજર રહેશે. કાલના સંમેલન બાદ આગળની રણનીતિ જાહેર કરીશું. માં ખોડલને પ્રાથના છે કે રુપાલા પોતે જ ચૂંટણીમાં હટી જાય તેવી જ માતાજીને પ્રાર્થના કરી છે.
આ તરફ રાજકોટમાં આવતીકાલે 14 એપ્રિલના રવિવારે સાંજે રાજકોટમાં રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં રતનપર મંદિર પાસે 30 વીઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો પહોંચવાના છે.


