નરેશભાઈ પટેલના જન્મદિવસની સેવામય ઉજવણીઃ ૧૦૦ સ્થળે રકતદાન કેમ્પ યોજાયા
મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા નરેશભાઈ પટેલ
વૃક્ષારોપણ, ભૂખ્યાને ભોજન, ગાયોને ખાસચારો, સર્વ રોગ નિદાન કેમ્પ સહિતના સેવાકીય કાર્યો પણ યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરી રહેલા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા અને જેમની અનેક વખત રક્તતુલા થઈ છે તેવા નરેશભાઈ પટેલનો 61મો જન્મદિવસ અવિસ્મરણીય અને સેવાનો મહોત્સવ બની ગયો. 11 જુલાઈ, 2026 ને શનિવારના રોજ પોતાના પ્રેરણાદાયી જીવનના 61 વર્ષ પૂર્ણ કરીને 62મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર મળીને કુલ 100થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ઉપરાંત ભૂખ્યાને ભોજન, ગાયોને ઘાસચારો, વૃક્ષારોપણ, સર્વ રોગ નિદાન કેમ્પ સહિતના સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સવારથી જ બહોળી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. તમામ જગ્યાએ યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરીને આ સેવાકીય કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
નરેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દાયકા કરતાં વધુ સમયથી મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી અનેક લોકોએ રક્તદાન કર્યું છે ત્યારે આજના દિવસે આ તમામ રક્તદાતાઓ, આયોજકો અને મારા મિત્રમંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
રાજકોટ શહેરમાં વિવિધ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ ત્રણેય જગ્યાએ નરેશભાઈ પટેલે હાજરી આપી હતી. જેમાં રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા બેડીપરા સ્થિત પટેલવાડી ખાતે, ત્યારબાદ કોઠારીયા મેઈન રોડ પર આવેલ રાધેશ્યામ બેન્ક્વેટ હોલ ખાતે અને ત્યારબાદ ન્યૂ માયાણીનગર સ્થિત શ્રી સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઈ પટેલે મેગા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓ અને આયોજકો સાથે મુલાકાત કરી હતી અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અનેક લોકોએ શ્રી નરેશભાઈ પટેલની મુલાકાત લઈને તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા રાજકોટ સહિત ગુજરાતભરમાં અને ગુજરાત બહાર મળીને કુલ 75થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. રાજકોટ શહેરમાં સરદાર પટેલ ભવન, પટેલવાડી (બેડીપરા) અને કોઠારીયા મેઈન રોડ પર આવેલા રાધેશ્યામ બેન્ક્વેટ હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ ઉપરાંત ગોંડલ, ધોરાજી, મેટોડા, જસદણ, ખામટા, જેતપુર, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, ભેસાણ, મેંદરડા, ગીર સોમનાથના વેરાવળ, તાલાલા ગીર, ગીર ગઢડા, ભાવનગર, મહુવા, રાજુલા, પોરબંદર, અમરેલી, લાઠી, સાવરકુંડલા, કુંકાવાવ, વડીયા, દામનગર, ધારી, બાબરા, ચલાલા, બગસરા, મોરબી, સુરેન્દ્રનગર, અંકલેશ્વર, મહેસાણા, જામનગર શહેરમાં 7 સ્થળે, વિભાપર, ઠેબા, નંદપુર, મોડપર, સુમરા, હરીપર, ભાદરા, મજોઠ, લતીપુર, ધ્રોલ, નિકાવા, મોટા વડાળા, ખરેડી, પાતા મેઘપર, પીપરટોડા, મહીસાગર, હિંમતનગર, પાટણ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજપીપળા, વલસાડ, મુંબઈ, ચેન્નાઈ, મધ્યપ્રદેશના ઝરખેડા અને તીલગારા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ તમામ જગ્યાએ મળીને હજારો રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ તમામ રક્ત વિવિધ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રાષ્ટ્રસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરીને શ્રી નરેશભાઈ પટેલના માધ્યમથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કર્યું હતું.
આ ઉપરાંત નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો પણ હાથ ધરાયા હતા. જેમાં 9 જુલાઈના રોજ રાજકોટ નજીક નિર્માણ પામી રહેલ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખાતે શ્રી ખોડલધામ લીગલ સમિતિ- રાજકોટ શહેર દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. આ ઉપરાંત 11 જુલાઈના રોજ ભરૂચ, અંકલેશ્વર, ભાવનગર, અરવલ્લી, પાલનપુર અને બોટાદ ખાતે વિવિધ આશ્રમોમાં અને વૃદ્ધાશ્રમોમાં ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોટાદ, અમદાવાદ અને ભાવનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જ્યારે બોટાદમાં ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. નિકાવા અને ખરેડી ખાતે સર્વરોગ નિદાન-ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. આમ નરેશભાઈ પટેલના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો થકી પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવશે.


