મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ
પૂરતુ વળતર નહી મળે તો લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરતા મંત્રીઓને ૧૦૮માં ઘાલવાના નિવેદનથી રાજકીય ગરમાવો
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો છે. ગઈકાલે 9 જુલાઈએ રાત્રે યોજાયેલી બેઠકમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત 12 જિલ્લાના ખેડૂતો ઉપવાસી છાવણીમાં એકત્ર થયા હતા. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીન વળતર અને અન્ય પ્રશ્નોને લઈને પોતાના સૂચનો અને લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી. અમદાવાદ, ગાંધીનગર સહિત 12 જિલ્લાના ખેડૂત આગેવાનોએ રાજસ્થાનની જેમ 4 ગણા વળતરની માંગ કરી હતી. આ કાર્યકમના અંતે આભારવિધિમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ તેમજ જેટપર આંદોલન સમિતિના સભ્ય અને 19 દિવસ સુધી ઉપવાસ કરનારા રાકેશ અમૃતિયાએ સ્થાનિક પ્રશાસન, સરકાર અને રાજ્યના મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટવાળી ગાડીઓમાં ફરતા મંત્રીઓને “108માં ઘાલવાના” તેમજ મંત્રીઓ અને ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાની વાત કરતાં તેમનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જેતપર ખાતે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ હતી. ઉપવાસી છાવણીમાં ખેડૂતો દ્વારા વળતર અંગે પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રાકેશ અમૃતિયાએ છેલ્લા ઘણા દિવસોથી આંદોલનને મળેલા સહકાર બદલ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આંદોલનમાં સેવાકાર્ય કરનાર મહિલાઓને “ચંડી અને ચામુંડા”નું સ્વરૂપ ગણાવતાં ખેડૂતોને “સિંહ સમાન” ગણાવ્યા હતા.
આભારવિધિ દરમિયાન જ રાકેશ અમૃતિયાએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આંદોલનનો ત્રીજો તબક્કો નહીં પરંતુ સીધો ચોથો તબક્કો શરૂ કરવાનો સમય આવી ગયો છે. તેમણે આંદોલનકારીઓને કોઈપણ પ્રકારની ધમકીથી ન ડરવાની અપીલ કરી હતી અને કહ્યું કે જો કોઈ ખેડૂત કે આંદોલનકારીને ધમકી આપે તો તેની જાણ સીધી તેમને કરવામાં આવે. તેમણે ખેડૂતોને વધુ આક્રમક રીતે લડત લડવા માટે પણ અપીલ કરી હતી.
ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેત
રાકેશભાઈ અમૃતિયાના આક્રમક નિવેદનો બાદ જેતપરનું ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વળતર મુદ્દે ખેડૂતોનો અસંતોષ યથાવત રહેતાં આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બને તેવી ચર્ચા શરૂ થઈ છે, જ્યારે રાકેશભાઈના નિવેદનોને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા જામી છે.


