- જામનગરમાં રાજપૂત સમાજની બેઠકમાં વ્યૂહનીતિ ઘડાઈ
- દરેક તાલુકા અને ગામડાઓમાં બૂથ લેવલ સુધી જઈને લોકશાહી ઢબે કાર્યક્રમો થશે
- અસ્મિતા રથ તા.27મીએ સવારે 10 વાગ્યે કાલાવડથી આરંભ થઈ ધ્રોલ જશે
જામનગરમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ આંદોલન પાર્ટ-2 શરુ કરવાની જાહેરાત ક્ષત્રિય અગ્રણીઓએ કરી છે. જે અંતર્ગત દ્વારકાધીશ ભગવાનના આશીર્વાદ લઈને તા.24 એપ્રિલના બુધવારથી અસ્મિતા રથને હાલારમાં ફરતો મુકવાની, તેમજ દરેક ગામ, વોર્ડ દીઠ પ્રમુખો સહિતની કમિટીઓની રચના કરીને ભાજપા વિરુદ્ધ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવાની જાહેરાત અગ્રણીઓએ કરીને હાલારમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખુલ્લેઆમ ભાજપા સામે મોરચો માંડી દીધો છે.
તા.22મી એપ્રિલની સાંજે 6 વાગ્યે ક્રિકેટ બંગલા સામે આવેલા રાજપૂત સમાજના હોલ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજપૂત શાખાના ગણાય તેવી સર્વે પેટા રાજપૂત જ્ઞાતિઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થયા હતા. આ બેઠમાં જાહેરાત કરવામાં આવી હતી કે, ભાજપા વિરુદ્ધ 100 ટકા મતદાન થાય તે માટે જુદી-જુદી ટીમો બનાવીને કાર્યક્રમો આપવામાં આવશે. દરેક ગામડાઓ અને તાલુકાઓમાં જઈને તમામ વર્ણના લોકોને ભાજપા વિરુદ્ધ મતદાન માટે સમજાવવામાં આવશે. તા.24મીએ સવારે 9 વાગ્યે દ્વારકાથી અસ્મિતા રથનું સાધુ-સંતો પ્રસ્થાન કરાવશે. જે બાદ સાંજે પાંચ વાગ્યે રથ કલ્યાણપુર પહોંચશે. તા.26મીએ અસ્મિતા રથ લાલપુરથી ભાણવડ અને ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે જામજોધપુર પહોંચશે. તા.27મીએ સવારે 10 વાગ્યે કાલાવડથી આરંભ થઈ ધ્રોલ જશે, તા.28મીએ ધ્રોલ તાલુકામાં બાદમાં તા.29મીએ જોડીયા પ્રસ્થાન, તા.30મીએ જામનગર તાલુકામાં અને બાદમાં જામનગર શહેરના દરેક વોર્ડમાં તા.1 મેના રોજ અસ્મિતા રથ ફરશે. જે બાદ તા.2 મેના રોજ જામનગર શહેરની ભાગોળે રાજકોટ હાઈવે ઉપર ખીજડિયા બાયપાસ નજીક નારી શક્તિ સન્માન નામનું મહા સંમેલન યોજવામાં આવશે. તેવી જાહેરાત અગ્રણીઓએ કરી હતી.
કેસ કરવામાં આવશે તો 30થી 40 વકીલોની માનદ સેવા રહેશે
જામનગરમાં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ જણાવ્યા મુજબ રાજપૂત સમાજની લડત દરમિયાન કોઈ સામે કેસ ઉભા થાય તો 30 થી 40 વકીલોની પેનલ સમાજ માટે માનદ ધોરણે કાનુની સેવા આપશે. તેમ નક્કી કરવામાં આવ્યું છે.


