- અમિત શાહ આવતીકાલે ફરી આવશે ગુજરાત
- અમદાવાદના નરોડામાં જનસભાને કરશે સંબોધન
- ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભા
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ બે તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. જેના ભાગ રૂપે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મોટા રાજકીય પક્ષો ગુજરાતની જુદી જુદી લોકસભા વિસ્તારોમાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતારી રહ્યા છે. જેમાં, ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે, આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ગજવી સભાઓ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આવતી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
હસમુખ પટેલ માટે માંગશે મત
મળતી માહિતી મુજબ, આવતીકાલે અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. અમદાવાદનો નરોડા વિસ્તાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનો મતવિસ્તાર છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હસમુખ પટેલને એકવાર ફરી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમિત શાહ નરોડામાં આયોજિત જાહેર સભામાં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ માટે મત માંગશે.
2019ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા
મહત્વનું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ વિજેતા બન્યા હતા. તથા આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપે હસમુખ પટેલને ફરી ટિકીટ આપી છે. તેમજ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મેળવનારા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. જેમાં રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપીને કોંગ્રેસને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.


