- જિગ્નેશ મેવાણીના પીએ સતીષ અને આપના દાહોદના જિલ્લા પ્રમુખ રાકેશની સંડોવણી
- તેલંગણાની સભામાં સ્પીચનો એડિટ કરેલ વીડિયો વાઇરલ કરવા મુદ્દે દિલ્હી પોલીસમાં ફરિયાદ
- હાલમાં ધરપકડ કરાયેલા બન્ને શખ્સોના મોબાઈલ ફોન એફ્એસએલમાં મોકલ્યા
તાજેતરમાં તેલંગાણાની સભામા કરેલા ભાષણમાં વાંધાજનક એડિટ કરીને તેનો વીડિયો ફેસબુક પર વાયરલ કરવાના કેસમાં સાઈબર ક્રાઈમ બ્રાંચે 2 લોકોની ધરપકડ કરી છે જેમાં સતિષ વણસોલા કે જે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના પીએ છે અને દાહોદના આપના જીલ્લા પ્રમુખ રાકેશ બારિયાનો સમાવેશ થાય છે. અમિત શાહની તેલંગાણાની સભાની સ્પીચના વીડિયોમાં તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવી રીતે એડિટ કરાયું હતું જેની ફરિયાદ દિલ્હી પોલીસમાં કરાઈ હતી.હાલમાં ધરપકડ કરાયેલા બન્ને શખ્સોના મોબાઈલ ફોન એફ્એસએલમાં મોકલ્યા છે.જયારે વીડિયો બનાવનારા શખ્સની શોધખોળ શરુ કરાઈ છે. પોલીસે સતીષ પ્રવીણભાઇ વણસોલા (ઉ.વ. 36, સત્કાર સોસાયટી, પાલનપુર, બનાસકાંઠા) તથા રાકેશ બદલભાઇ બારિયા (ઉ.વ. 35 રહે. લીમખેડા, દાહોદ)ને ઝડપીને પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સતિષ વણસોલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પી.એ. તરીકે છ વર્ષથી ફરજ બજાવે છે. જ્યારે રાકેશ બારિયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત છે. પોલીસે આ બન્ને પાસે વીડિયો કેવી રીતે આવ્યો તેની તપાસ ચાલી રહી છે.
રાકેશે 27 મી એપ્રિલે, સતીષ 29 એપ્રિલે વીડિયો વાઇરલ કર્યો હતો
સાયબર ક્રાઈમે બન્ને આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યુ કે રાકેશે ગત 27 એપ્રિલે રાત્રિના સમયે અને સતીષે ગત 29 એપ્રિલે સવારના સમયે પોતાના ફેસબુક પેજ પર વીડિયો વાઇરલ કર્યો હતો.હાલમાં એડિટેડ વીડીયો પોતાના સોશિયલ મીડિયાના હેન્ડલથી પોસ્ટ કરવાને લઈને તપાસ શરુ કરી છે આ વીડિયો જે વોટસએપ ગ્રુપના માધ્યમથી ફરતો થયો હતો તેની પણ તપાસ શરુ કરાઈ છે.
બંને આરોપીઓને ત્રણ દિવસ રિમાન્ડ પર મોકલાયા
ગૃહમંત્રી અમીત શાહનું ભાષણ એડિટ કરી વાયરલ કરવાના કેસમાં સાઈબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરેલા બંને આરોપી સતીષ પ્રવિણભાઇ વણસોલા અને રાકેશ બાદલભાઇ બારીયાને અત્રેના એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મનીષ ચૌહાણે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. રિમાન્ડ અરજીમાં ખુલાસો કરાયો હતો કે, જાહેરસભામાં કરેલા ભાષણને તોડી મરોડી રજૂ કરી ચૂંટણીના પરિણામોને અસર કરવા અને દેશમાં તેમ જ અલગ અલગ રાજયોના લોકો સુધી ખોટો સંદેશો પહોંચાડી ભયનું વાતાવરણ, જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવા બદઇરાદાથી કૃત્ય કરાયું છે.


