- આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા
- સી.આર.પાટીલ PM મોદીની સભામાં ઉપસ્થિત
- બાદમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારોનો જંગી પ્રચાર કરી રહ્યાં છે. કુલ 4 શહેરોમાં નરેન્દ્ર મોદીની સભા છે. તેમાં સવારે 11 કલાકે આણંદના શાસ્ત્રી મેદાનમાં નરેન્દ્ર મોદીની સભા યોજાઇ છે.
ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરી
આણંદમાં વડાપ્રધાન મોદીએ જાહેરસભાને સંબોધન કરી છે. જેમાં ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરી છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે બાળકોને શાંતિથી બધુ સાંભળવા દો, જોવા દો. ગુજરાતમાં CM તરીકે વર્ષો સુધી તમારી સેવા કરી. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી, લડી પણ ખરી. ગુજરાતમાં મેં સભાઓ પણ કરી, રેલીઓ પણ કરી છે. ગુજરાતમાં 12 વાગ્યા પહેલા સભા કરવી એટલે લોઢાના ચણા જેવુ છે. બધા કહે સાંજે ઠંડક થાય ત્યારે સભા રાખજો. આણંદે આ રેકોર્ડ તોડીને કેસરિયા સાગર લહેરાવ્યો છે. આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. 2014માં તમે મને દેશની સેવા કરવા માટે મોકલ્યો હતો. સરદાર સાહેબની આ ભૂમિમાંથી જે શીખ્યો તે કામ લાગે છે. આઝાદીના 100 વર્ષ થાય ત્યારે દેશ વિકસિત હોવો જોઇએ. વિકસિતનો અર્થ શું છે તે આણંદ – ખેડાને ન સમજાવવું પડે. તેમના કુટુંબીજનો દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે.
મોદીએ 10 વર્ષમાં 50 કરોડથી વધુ બેંક ખાતા ખોલાવ્યા
કોંગ્રેસનો કાળ સાશનકાળ હતો, આ સેવાકાળ છે. કોંગ્રેસના સાશનમાં 60 ટકા વસ્તી પાસે શૌચાલય નહોતુ. 10 વર્ષમાં ભાજપ સરકારે 100 ટકા શૌચાલય બનાવ્યા છે. કોંગ્રેસે માત્ર 3 કરોડ ઘરોને જ નળથી જળ આપ્યુ છે. 10 વર્ષમાં આજે 14 કરોડ ઘરો સુધી નળથી જળ પહોંચ્યુ છે. 60 વર્ષ અને 10 વર્ષ.. કેટલો મોટો ફરક છે. 60 વર્ષમાં કોંગ્રેસે બેંકો પર કબ્જો કરી લીધો છે. કોંગ્રેસ 60 વર્ષમાં કરોડો ગરીબોના બેંક ખાતા ન ખોલાવી શકે. મોદીએ 10 વર્ષમાં 50 કરોડથી વધુ બેંક ખાતા ખોલાવ્યા.
આપણે આપણા દેશને એવો જ સમૃદ્ધ બનાવવાનો છે
આપણે આપણા દેશને એવો જ સમૃદ્ધ બનાવવાનો છે. એટલા માટે મારી પળેપળ દેશના માટે છે. મેં દેશને ગેરંટી આપી છે 24X7 અને 2047. આ કામ માટે મારે તમારા આશીર્વાદની જરૂર છે. મારે સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઇએ છે. સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ મળે તો ચાર ચાંદ લાગે. હું ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ લેવા આવ્યો છુ. ગુજરાતમાં મને PM સાહેબ કહે એટલે અતડું લાગે. PM સાહેબ કહે તો જોવું પડે કે કોના વિશે વાત કરે છે. આપણા નરેન્દ્રભાઇ કહે તો કેવું સારું લાગે. ઘરે આવીએ ત્યારે નરેન્દ્રભાઇ કેમ છો પૂછે તો સારું લાગે. વિશ્વના કોઇપણ દેશમાં જાઉં એકાદ ગુજરાતી તો મળે જ.
આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન
આણંદના ઉમેદવાર મિતેષ પટેલ, ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને ખંભાતના ઉમેદવાર ચિરાગ પટેલ માટે પ્રચાર કરશે. બાદમાં સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે. PM મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં રાજ્યમાં PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે. જેમાં સવારે 11 વાગ્યે આણંદમાં ચૂંટણી સભા સંબોધશે. તથા બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગરમાં સભા સંબોધશે. તથા બપોરે 3 વાગ્યે જુનાગઢમાં ચૂંટણી સભા ગજવશે. અને સાંજે 5 વાગ્યે જામનગરમાં ચૂંટણી સભા ગજવશે.


