- 15 લાખથી લઈ એક કરોડની કિંમતની કાર 3 લાખથી 20 લાખ સુધીમાં મળે છે
- પ્રદૂષણ રોકવા મામલે દિલ્હી-ચંડીગઢની સરખામણીએ ગુજરાતમાં ગંભીરતા ઓછી
- માત્ર અમદાવાદમાં વર્ષે ઓડી, BMW, જેગુઆર જેવી 200થી વધુ કાર આરટીઓમાં ટ્રાન્સફર માટે આવે છે
પ્રદૂષણને લઇને અન્ય રાજ્યમાં નિયમનો કડકપણે અમલ કરાય છે જ્યારે ગુજરાતમાં પ્રદૂષણ રોકવા મામલે ઓછી ગંભીરતા જોવા મળી રહી છે. જેના લીધે દિલ્હી અને ચંડીગઢમાં ડીઝલ કારના 10 વર્ષના રજિસ્ટ્રેશન બાદ કાર ચલાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ અપાતું નથી. ગુજરાતમાં 15 વર્ષ પછી ક્રમશઃ પાંચ વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે. એટલે જ દિલ્હી અને ચંડીગઢમાં કારની કિંમત કોડીની થઇ જાય તે પહેલાં સ્થાનિક આરટીઓમાંથી NOC લઇને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કાર વેચી દેવાય છે. રજિસ્ટ્રેશનની મર્યાદા પુરી થતા દિલ્હી અને ચંઢીગઢથી સાત હજારથી વધુ સેકન્ડ હેન્ડ લક્ઝુરિયસ ડીઝલ કાર ગુજરાતમાં ઠલવાય છે. આમ 15 લાખથી લઇ એક કરોડથી વધુ કિંમતની કાર માત્ર 3 લાખથી લઇ 20 લાખ સુધીમાં મળતી હોવાથી ગુજરાતીઓ રસ દાખવીને ફાયદો ઉઠાવે છે. સ્થાનિક વેન્ડરના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી આ વેપાર ફૂલ્યોફાલ્યો હોવાથી કેટલાક વેન્ડરોએ દિલ્હીમાં ઓફિસો પણ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં નવી કારની ખરીદી બાદ આરટીઓમાં 15 વર્ષનું રજિસ્ટ્રેશન થાય છે. ત્યારબાદ આરટીઓમાં કારની ચકાસણી કરીને પાંચ વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે. જેના લીધે અન્ય રાજ્યમાંથી કાર ખરીદનારનેે કોઇ વાંધો આવતો નથી. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ચારથી પાંચ વર્ષ અગાઉ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વર્ષે 300થી 400 કાર ટ્રાન્સફર માટે આવતી હતી, પરંતુ હવે અન્ય રાજ્યમાં વધતાં પ્રદૂષણની ચિંતા કરીને નિયમ બદલાતાં માત્ર અમદાવાદમાં વર્ષે ઓડી, BMW, જેગુઆર સહિતની 200થી વધુ કાર આરટીઓમાં ટ્રાન્સફર માટે આવે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ચારથી પાંચ હજાર અન્ય રાજ્યની કાર ટ્રાન્સફર થઇ ગયાનું અનુમાન છે. કાર ઉપરાંત બસ અને ટ્રક સહિતના ટ્રાન્સપોર્ટ વાહનો પણ ગુજરાતમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે. કડક નિયના અભાવે વાહનવ્યવહાર વિભાગ સહિત અન્ય તંત્રનો કોઈ કંટ્રોલ નથી. અન્ય રાજ્યમાંથી 15 વર્ષ જૂની લક્ઝયુરિયસ પેટ્રોલ કાર પણ સામાન્ય કિંમતમાં મળી રહી છે. જેને ખરીદવામાં પણ ગુજરાતીઓ વધુ રસ ધરાવે છે.
ગુજરાતમાં ધુમાડા ફેંકતા ડમ્પર, ટ્રક કે બસ પર તંત્રની લગામ નહીં : પૂર્વ અધિકારીઓ
ગુજરાતમાં ધુમાડા ફેંકતા ખુલ્લેઆમ ડમ્પર, ટ્રક કે બસ પર તંત્રની કોઇ લગામ નથી. આવાં વાહનો હપ્તાખોરીના લીધે ખુલ્લેઆમ રસ્તા પર દોડે છે તેમ છતાં તંત્ર ચૂપકીદિ સેવે છે. પ્રદૂષણ અટકાવવા તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવા જોઈએ.
વિસનગર, પાલનપુર, ડીસાના ગામડાઓમાં ડીઝલ કાર ઠલવાતા પ્રદૂષણ વધશે
દિલ્હી અને ચંડીગઢમાંથી રજિસ્ટ્રેશન રદ થવા આવતી લક્ઝુરિયર્સ ડીઝલ કાર છેલ્લા બે વર્ષથી અમદાવાદ, ગાંધીનગર, વિસગનર, પાલનપુર, ડીસા, હિંમતનગર, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામડાંમાં વેચી દેવાય છે. જેના લીધે આવનાર પાંચ વર્ષમાં આ ગામડાંમાં પ્રદૂષણની માત્ર વધી જશે તેવું હવામાન નિષ્ણાતો જણાવે છે. ગામડાંઓમાં હજી પણ આવી પાંચ હજારથી વધુ લક્ઝુરિયર્સ કાર વેચાયા વગરની પડી રહી છે. આ બિઝનેશથી એક રાજ્યમાં પ્રદુષણ ઘટશે તો બીજા રાજ્યમાં વધશે.


