- ભાજપે વર્ષ 2024માં લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબા બારૈયાને ઉતાર્યા છે
- કોગ્રેસ વર્ષ 2024માં લોકસભાના ઉમેદવાર તરીકે તુષાર ચૌધરીને ઉતાર્યા છે
- સાબરકાંઠા બેઠક પરથી સતત બે ટર્મથી દિપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે
સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની સાત વિધાનસભા બેઠક પૈકી પાંચ વિધાનસભા બેઠક પર ભાજપનું દોઢ દાયકાથી પ્રભુત્વ જોવા મળી રહ્યું છે 30 ટકા મતદારો ઠાકોર ક્ષત્રિય હોવા છતાં આ બેઠક પર જાતિગત સમીકરણ લાગુ પડતું નથી 2019માં મોદી લહેર હોવા છતાં ખેડબ્રહ્મા અને ભિલોડા વિધાનસભામાં ભાજપને પાતળી સરસાઈ મળી હતી. હાલમાં ઉમેદવાર મામલે ભાજપમાં ઉકળતો જરૂર છે ત્યારે અપેક્ષિત સરસાઈનો આંકડો પણ એરણે ચડયો છે.સાબરકાંઠા લોકસભા બેઠકમાં બે જિલ્લાનો સમાવેશ થયો છે. સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જિલ્લાનો સમાવેશ થાય છે. રાજ્યનો જાણીતા ઈડરીયો ગઢ, ખેડબ્રહ્ના ખાતે બ્રહ્માજીનું અને મા અંબેનું મંદિર અને શામળાજીનું મંદિર સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં આવેલા છે. સાબરકાંઠા એ સાબરમતી નદીના તટે વસેલો વિસ્તાર છે. સાબરકાંઠા એ બહુ મૂલક આદિવાસી વસ્તી ધરાવતી લોકસભા બેઠક છે, જે સામાન્ય કેટેગરીની છે. બેઠક પરના મતદારોનું અક્ષરજ્ઞાન 65% છે.
જાણો કોણ છે શોભનાબા બારૈયા
લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે સાબરકાંઠા બેઠક પર મેદાને ઉતાર્યા છે એ શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિવારના પુત્રી શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ચૂંટણી લડવા માટે રાજીનામું ધર્યુ છે.ભાજપે શિક્ષિત અને મહિલા ચહેરાને પસંદ કરતા શોભનાબેન પર પસંદગી ઉમેદવાર તરીકે ઉતારી છે. શોભનાબેનની રાજકીય સૂઝ બૂઝ અને તેમની વાત કરવાની ઢબને લઈ તેમની પર ભાજપની નજર ઠરી હોવાનું મનાય છે. ગુજરાતી અને હિન્દી ભાષા પર સારી પકડ હોવા સાથેની વાતચીત સાંસદના ઉમેદવાર તરીકે મહત્વની બની રહેવાનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે. તેઓએ શિક્ષણ અને મહિલાઓને પ્રોત્સાહન સહિત અરવલ્લી અને સાબરકાંઠાના વિકાસને માટે તત્પર હોવાનું જણાવ્યુ છે.
મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે શોભનાબા બારૈયા
શોભનાબેનના પતિ મહેન્દ્રસિંહ બારૈયા પણ પ્રાંતિજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહેન્દ્રસિંહ બારૈયા આ પહેલા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રહી ચૂક્યા છે. તો ગત વિધાનસભા 2022 ની સામાન્ય ચૂંટણીમાં હિંમતનગર અને પ્રાંતિજ બેઠક પર તેમની રણનીતિભરી કામગીરીને લઈ પક્ષની નજરમાં રહ્યા હતા. જેને લઈ મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપવા માટે પસંદ કરવામાં આવ્યું હોય એમ માનવામાં આવી રહ્યુ છે.
જાણો કોણ છે તુષાર ચૌધરી
સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે આદિવાસી સમીકરણ ખેલ્યું છે. તુષાર ચૌધરી સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર છે. અમરસિંહના પરિવારમાંથી અગાઉ નિશા ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. નિશા ચૌધરી ત્રણ ટર્મ ચૂંટાઈ આવ્યા હતા.અમરસિંહ ચૌધરી પણ ખેડબ્રહ્મા બેઠક પરથી સળંગ ત્રણ ટર્મ ચૂંટાઇ આવ્યા હતા અને હવે તેમનો પુત્ર આ બેઠક પરથી ધારાસભ્ય છે. આમ ઇતિહાસને જોતા કોંગ્રેસે હવે ફરી એકવાર ચૌધરી પરિવાર પર દાવ ખેલ્યો છે. ડો. તુષાર ચૌધરી અને તેમનો પરિવાર વ્યારાનો છે અને સાબરકાંઠામાં તેમના પરિવારમાથી ચોથા સભ્ય ચૂંટણી માટે મેદાનમાં આવ્યા છે. જેમાંથી ત્રણ સફળ અને એક નિષ્ફળ રહ્યા છે.

ખેડબ્રહ્માથી વિધાનસભા જીત્યા તુષાર ચૌધરી
કોંગ્રેસે લોકસભા 2024 ના ઉમેદવાર તરીકે ડો તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તુષાર ચૌધરી વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડવા માટે મેદાને ઉતર્યા હતા. તુષાર ચૌધરીએ સ્થાનિક દિગ્ગજ આદિવાસી નેતા અશ્વિન કોટવાલને હરાવીને જીત મેળવી હતી. આ સાથે જ તે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે દાવેદાર થવા લાગ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તુષાર ચૌધરી બેઠકના ઉમેદવાર તરીકે દાવેદાર હોવાનું ચર્ચામાં હતું.
તુષાર ચૌધરી પરિવારમાંથી લોકસભાના બીજા ઉમેદવાર
સાબરકાંઠા બેઠક પર અમરસિંહ ચૌધરીના પરિવારમાંથી આ બીજા ઉમેદવાર છે કે, જે મેદાને ઉતર્યા છે. આ પહેલા સાબરકાંઠા બેઠક પર નિશાબેન ચૌધરી 1996માં લોકસભાના ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા. તેઓ 1996, 1998 અને 1999માં લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવામાં સફળ રહ્યા હતા. 2001 માં નિશાબેનના અવસાન બાદ પેટાચૂંટણી યોજાતા મધુસૂદન મિસ્ત્રીનો વિજય થયો હતો.તુષાર ચૌધરી હવે પરિવારના સંપર્ક અને તેમના સંબંધોને આધારે હવે સાબરકાંઠામાં પોતાનો પગ જમાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં વિજયી રહ્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ મજબૂત ઉમેદવાર તરીકે કોંગ્રેસ તેમને જોઈ રહી હશે. જોકે તુષાર ચૌધરીએ ત્રણ ટર્મથી ભાજપનો ઝંડો લહેરાવતી બેઠક પર કપરાં ચડાણ સાથે શરુઆત કરવી પડશે.
2019નું લોકસભાનું પરિણામ
2019ની ચૂંટણીમાં ભાજપના દિપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 2,68,987 મતે હરાવ્યા હતા, સાથે 2014ની લીડમાં 14.49 ટકા મત અને વિજયી માર્જિનમાં વધારો કર્યો. 2014ની મોદીકાળની પહેલી ચૂંટણીમાં ભાજપના દિપસિંહ રાઠોડે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાને ખરાખરીના ખેલ અને મોદી જુવાળમાં 84,455 મતે હરાવી વિજયી બન્યા હતા. ભાજપે 2019ના સાંસદ દિપસિંહ રાઠોડને પડતા મુકીને સાબરકાંઠાના ચૂંટણી જંગમાં નવા ચહેરા તરીકે ભીખાજી ઠાકોરને ઉતાર્યા છે. સાબરકાંઠાના કુલ મતદારોની વાત કરીએ તો કુલ 19,66,616 મતદાર છે, જેમાં 10,01,631 પુરુષ મતદાર, 9,64,917 સ્ત્રી મતદાર અને અન્ય મતદાર 68 મતદારોનો સમાવેશ થાય છે.

સાબરકાંઠા બેઠક પર અગાઉ 2 મહિલા સાંસદ ચૂંટાયા છે
સાબરકાંઠા બેઠક પરથી અત્યાર સુધીમાં બે મહિલા સાંસદ ચૂંટાઇને સંસદમાં પહોંચી છે. જેમાં સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબેન પટેલ 1973માં ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ 1996, 1998 અને 1999 માં નિશાબેન ચૌધરી ચૂંટાઇ આવ્યા હતા. આમ બે વાર અગાઉ સાબરકાંઠા બેઠકનું પ્રતિનિધિત્વ સંસદમાં મહિલાઓએ કર્યુ છે. હવે ફરી એકવાર સાબરકાંઠા બેઠક પરથી મહિલા ઉમેદવાર જાહેર થયા છે.
સાબરકાંઠા બેઠક પરનું જ્ઞાતિ સમીકરણ
20.4% અનુસૂચિત જનજાતિ, 8% અનુસૂચિત જાતિના મતદારો છે. 84.7%ગ્રામીણ મતદારો ધરાવતી આ બેઠક પર ગ્રામીણ મુ્દા અને મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. સામાન્ય રીતે સાબરકાંઠા લોકસભા બેઠક પર આદિવાસી વિકાસ, સરકારી યોજના, પ્રાથમિક સુવિધા અને સમાજના સમીકરણોના આધારે મતદારો મતદાન કરે છે. એક સમયે પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક ગણાતી સાબરકાંઠા હવે ભાજપ માટે સલામત બેઠક તરીકે બનતી જાય છે. જેમાં હિંદુત્વ, રાષ્ટ્રવાદ અને સહકારના રાજકારણને કારણ મનાય છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પરની વિધાનસભા બેઠકો અને 2022ની સ્થિતિ
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 7 પૈકી 4 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ફાળે 5, કોંગ્રેસ પાસે એક અને એક અપક્ષે વિજય પ્રાપ્ત કર્યો હતો. વોટશેરની દ્રષ્ટિએ 2022માં ભાજપનો વોટશેર 7 વિધાનસભા બેઠકો પર 46.4%નો અને કોંગ્રેસનો વોટશેર 29.9% નો હતો. 2017 કરતાં 2022માં કોંગ્રેસનો વોટશેરમાં 16.5 %નો નોંધપાત્ર ઘટાડો થતાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટશેર 2014ની ચૂંટણી કરતાં 7.3 % વધ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપને 50.6% અને કોંગ્રેસને 42.6 % વોટ પ્રાપ્ત થયા હતા. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 57.9 % અને કોગ્રેસને 35.7% વોટ પ્રાપ્ત થયા હતા. આમ, વિધાનસભા અને લોકસભા એમ બંને મતક્ષેત્રમાં કોંગ્રેસ કરતા ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બેઠકો અને વોટશેર વધ્યો છે, જેને 2019ની લોકસભામાં ભાજપને મસમોટો ફાયદો કરાવ્યો છે.
કોણે કોને હરાવ્યા
2019માં ભાજપે 2014ના જ સાંસદ દિપસિંહ રાઠોડને રિપિટ કર્યા. 2019ની ચૂંટણીમાં ભાજપના દિપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 2,68,987 મતે હરાવ્યા, સાથે 2014ની લીડમાં 14.49 ટકા મત અને વિજયી માર્જિનમાં વધારો કર્યો. 2014ની મોદીકાળની પહેલી ચૂંટણીમાં ભાજપના દિપસિંહ રાઠોડે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાને ખરાખરીના ખેલ અને મોદી જુવાળમાં 84,455 મતે હરાવી વિજયી બન્યા હતા.2009ની UPAકાળની ચૂંટણીમાં ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના દિગ્ગજ અને આદિવાસી આગેવાન મધૂસુદન મિસ્ત્રીને ફક્ત 17,155 મતે હરાવી શક્યા હતા. 2009ની મહેન્દ્રસિંહ ચૌહાણની જીતમાં અપક્ષ તરીકે ઉભા રહેલા છગનભાઈ સોલંકીને પ્રાપ્ત 28,135 મત કારણભૂત રહ્યા હતા. 2004ની UPAકાળની પહેલી ચૂંટણીમાં કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીએ ભાજપના રમીલાબહેન બેરાને 39,928 મતના માર્જિનથી હરાવ્યા હતા. છેલ્લી ચાર ચૂંટણી પૈકી બે ચૂંટણીમાં અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોના કારણે પરિણામો નક્કી થયા છે.


