- ઉનાના બાણેજ બુથમાં માત્ર એક મતદાતા
- બાણેજ બુથમાં 100 ટકા થયું મતદાન
- બાણેજ મંદિરના મહંત એકમાત્ર મતદાર
ગીર સોમનાથના ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન થયુ છે. જેમાં મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં સો ટકા મતદાન થયુ છે. બાણેજ બુથમાં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન પૂર્ણ થયુ છે. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.
દર ચૂંટણીમાં અહીં સો ટકા મતદાન થાય છે
ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠકમાં આવેલું અનોખું મતદાન મથક બાણેજમાં સો ટકા મતદાન થયુ છે. દર ચૂંટણીમાં અહીં સો ટકા મતદાન થાય છે. ગીર જંગલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા આ બુથ તૈયાર કરવામાં આવે છે. માત્ર એક મત માટે બાણેજ ખાતે ઉભા કરવામાં આવેલા પોલિંગ બુથમાં 15 કર્મચારીનો સ્ટાફ સાંજે 6 વાગ્યા સુધી ફરજ નિભાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવતી વખતે ચૂંટણી પંચ દરેક મતદાર માટે એક ખાસ મતદાન મથક પણ બનાવે છે. અને સવારથી સાંજ સુધી આ બુથ પર ફરજ બજાવતા 15 કર્મચારીઓ હાજર રહે છે.
15 જેટલો પોલિંગ સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે
ગીર સોમનાથના જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બાણેજ મંદિર નજીક ફોરેસ્ટ કવાટરમાં આ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવે છે. જામવાળા ગીરથી 25 કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર છે. જેને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરના મહંત હરિદાસબાપુ બાણેજ રહે છે. જે મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે. ચૂંટણીપંચ 2002થી અહીં ખાસ બુથની વ્યવસ્થા કરે છે. આ વખતે પણ આ બુથ બનાવવામાં આવ્યું છે. જે મતદાનની પૂર્વ સંધ્યાએ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં 15 જેટલો પોલિંગ સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે.
આપણે મતદાન કરવું જ જોઈએ, ચૂંટણીએ લોકશાહીની ધરોહર
ગીર જંગલ મધ્યે આવેલા બાણેજ બુથમાં મહંત હરીદાસજીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતા જ અહીં સો ટકા મતદાન થયું છે. અહીં બનાવેલા આ સ્પેશિયલ બુથ વિશે હરિદાસબાપુ કહે છે કે, લોકશાહીને જીવંત રાખીને મારા માટે ખાસ વ્યવસ્થા કરવા બદલ હું ચૂંટણી પંચનો આભારી છું. હું દરેકને અચૂક મતદાન કરવા અપીલ કરું છું. હરિદાસબાપુ વધુમાં કહે છે કે મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણે મતદાન કરવું જ જોઈએ, ચૂંટણીએ લોકશાહીની ધરોહર છે.


