- યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં યાત્રિકોની ભારે ભીડ
- ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી 23મી મે સુધી બંધ કરી દેવામાં આવ્યું
- ચારધામ યાત્રામાં ફસાયેલા ગુજરાતીઓને રાજ્ય સરકારે કરી મદદ
આ વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ થવાની સાથે જ વિક્રમી સંખ્યામાં યાત્રિકો યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પહોચી રહ્યાં છે. મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડતા તંત્ર દ્વારા યાત્રિકો માટે કરાયેલ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી છે. જેના કારણે ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી 23મી મે સુધી બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ચારધામની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતી યાત્રિકો રસ્તામાં ફસાયા હોવાનુ સામે આવ્યું છે.
રાજ્ય સરકારે યાત્રિકોને કરી મદદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ યાત્રાધામોમાં ગુજરાતના કેટલાક યાત્રાળુઓના વાહનો ભીડમાં અટવાઈ ગયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ CMએ મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમરને આ સંદર્ભમાં યોગ્ય પ્રબંઘન કરવા માટે આદેશ આપ્યો હતો. કાર્યકારી મુખ્ય સચિવશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર ઉત્તરાખંડ રાજ્ય સરકારનો સંપર્ક સાધીને યાત્રા માર્ગમાં અટવાયેલા ગુજરાતી યાત્રિકોને સરળતાએ માર્ગ કાઢીને આગળની યાત્રા માટે પ્રસ્થાનની જરૂરી વ્યવસ્થાઓ અંગે વાતચીત કરી હતી.
ઉત્તરાખંડ સરકારે આપ્યો સહકાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ બાબતે ત્વરિત પગલા બાદ ગુજરાત સરકાર સાથે સંકલનમાં રહીને ઉત્તરાખંડ સરકારના વહીવટી તંત્રએ આ યાત્રાળુઓ માટે યોગ્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ વ્યવસ્થાઓ હાથ ધરી છે. એટલું જ નહીં, ચારધામ યાત્રાએ ગયેલા આ યાત્રિકોએ યમનોત્રી-ગંગોત્રીથી આગળની યાત્રા માટે પ્રસ્થાનની શરૂઆત પણ કરી દીધી છે.


