- શોપિંગ સેન્ટરોના કાચના ડેકોરેશન તૂટયાં, વીજપોલ, હોર્ડિંગ્સ ધરાશાયી, ખેતીમાં ભારે નુકસાન
- વાઝોડાના 3 કલાક દરમિયાન માર્ગો પર અવરજવર બંધ
- જંબુસર તાલુકામાં વધુ અસર જણાઈ : ઈંટોના ભઠ્ઠા અને મીઠા ઉદ્યોગને નૂકસાન
ભરૂચ જિલ્લામા ગતરોજ રાત્રિના 8 વાગ્યાના સુમારાથી અતિતિવ્ર વિનાશક વાવાઝોડુ ફુંકાયુ હતુ. આ વાવાઝોડામાં પવનની ગતિ 45 થી 50 કીલોમીટર પ્રતિકલાકની હોવાનું જણાયુ છે. વાવાઝોડામાં પવનની સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી હોવાના પગલે સમગ્ર જિલ્લામાં ધુળીયુ વાતાવરણ છવાઈ ગયુ હતુ. આ વાવાઝોડુ એટલુ તીવ્ર હતુ તેની અસર ભરૂચ નજીક આવેલ કેબલ બ્રિજ તેમજ નર્મદા મૈયા બ્રિજ પણ જણાઈ હતી. જેમાં આ બે બ્રિજો પરથી પસાર થતા વાહન ચાલકોને વાવાઝોડામાં જાણે કે બાઈક તેમજ અન્ય વાહનો ખેંચાય રહ્યા હોય તેમ જણાયુ હતુ.
આથી ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હતી જેના પગલે બ્રિજ પરના વાહન ચાલકોએ વાહનોએ ગમે તેમ બ્રિજ પસાર કર્યો હતો તો બીજીબાજુ આવુ જ વાતાવરણ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય અને રાજય ધોરીમાર્ગ પર સર્જાતા આ બંન્ને ધોરીમાર્ગો પર વાહન ચાલકોએ વાહનો સાઈડમાં કરીને આશ્રાય લીધો હતો જેના પગલે વાવાઝોડાના લગભગ 3 કલાકના સમય દરમ્યાન આ બંન્ને માર્ગો પર અવરજવર ખુબ ઓછી થઈ ગઈ હતી. વાહનોની અવરજવર ઓછી થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજય ધોરીમાર્ગ સૂમસામ થઈ ગયા હતા. ભરૂચ નજીક જંબુસર બાયપાસથી જંબુસર તરફ જવાના રસ્તા પર ખુબ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાય થતા વાહનો સામે વૃક્ષોના અંતરાય ખડા થઈ ગયા હતા. આવી પરિસ્થિતીમાં ભરૂચ જિલ્લામાં લગભગ રોજબરોજનો વ્યવહાર વાવાઝોડાના પગલે થંભી ગયો હતો.
આકાશમાં કડાકા ભેર ઝબુકતી વીજળીના પગલે વરસાદ કયારે વરસે તે કહેવાય નહી તેવી પરિસ્થિતિનું સર્જન થયુ હતુ પરંતુ કાળા દિબાંગ વાદળો છવાયા હોવા છતાં વરસાદી છાંટાને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. ત્રણ કલાક દરમ્યાન ભારે વરસાદ ન વરસતા ભરૂચ પંથકમાં તારાજી ઓછી થઈ હતી. હાથીખાના તેમજ અન્ય વિસ્તારોમાં વાહનો પર વૃક્ષ ધરાશાયી થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે જેના પગલે લોકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. જો કે સમગ્ર વાવાઝોડા તાંડવમાં કોઈ જાનહાની થઈ ન હતી. રાત્રિના 8 વાગ્યે વીજળી ડૂલ થઈ જતા 4 કલાક બાદ ભરૂચ જિલ્લામાં વીજ પુરવઠો યથાવત થયો હતો. તેમ છતાં લગભગ આખી રાત દરમ્યાન તીવ્ર પવન ચાલુ રહ્યો હતો.
પાલિકા, પોલીસ તંત્ર, લોકો દ્વારા વૃક્ષો હટાવાયા
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના જણાવ્યા અનુસાર જિલ્લાના જંબુસર તેમજ અન્ય વિસ્તારોમાં ખુબ મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાય થતા ભરૂચ જિલ્લા પોલીસ માર્ગ પરથી ધરાશાય થયેલ વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગી હતી. સાથે જ જે તે વિસ્તારની નગરપાલિકાનું તંત્ર તેમજ લોકોનો પણ સાથ સહકાર પ્રાપ્ત થયો હતો. આમ એક ટીમવર્ક ઉભુ થતા રસ્તા પર આડા પડેલ વૃક્ષોને ગણતરીના સમયમાં દુર કરાતા વાહન વ્યવહાર યથાવત કરી શકાયો હતો.
ખેડૂતોના માથે વાવાઝોડાની આફતની શરૂઆત
હાલ અખાત્રીજના દિવસે જ ભરૂચ જિલલાના ખેડૂતોએ ખેતી કરવાની શુભ શરૂઆત કરી હતી અને તેના ગણતરીના દિવસોમાં જ તીવ્ર વાવાઝોડુ ફુંકાતા ખેડૂતોના સમાજમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે, વાવાઝોડાની આફતની શરૂઆત થઈ ચુકી છે. જયારે આંબાની ખેતી ધરાવતા ખેડૂતોને પણ ભારે નુકશાન થયુ હતુ.
હળવો વરસાદ પણ વરસ્યો
ભરૂચ પંથકમાં તીવ્ર વાવાઝોડાની સાથે હળવો વરસાદ પણ વરસ્યો હતો. જેમાં રાત્રીના 8 વાગ્યાથી વાવાઝોડાની શરૂાત થઈ હતી. જિલ્લાના જંબુસર તાલુકામાં વધુ અસર થઈ હતી. વાવાઝોડાના સમય દરમ્યાન અને ત્યારબાદ આમોદ તાલુકામાં 1 મીમી, અંકલેશ્વરમાં 2 મીમી, જંબુસર તાલુકામાં 7 મીમી, નેત્રંગ તાલુકામાં 2 ઈંચ, ભરૂચ તાલુકામાં 1 મીમી, વાલીયા તાલુકામાં 1.75 ઈંચ અને હાંસોટ તાલુકામાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. બાકીના ઝઘડીયા અને વાગરા તાલુકાઓમાં ઝરમર વરસાદને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો.


