- અમદાવાદસહિત રાજ્યના કુલ 40 હજાર અરજદારો રઝળ્યા
- ડ્રાઇવિંગ ટેસ્ટ, લાઇસન્સના કામ માટે આવેલા લોકોને બે કલાક રાહ જોવડાવી પરત ધકેલ્યા
- સારથિ સર્વર બંધ રહેતા 38 આરટીઓમાં કાચાં-પાકાં લાઇસન્સની કામગીરી બંધ
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બુધવાર સાંજે ચાર વાગ્યાથી સર્વર અટકી ગયું હતું, જેના લીધે કેટલીક આરટીઓમાંથી અરજદારોને પરત જવું પડયું હતું. બીજા દિવસે ગુરુવારે પણ સવારથી જ સારથિ સર્વર બંધ રહેતા 38 આરટીઓમાં કાચાં-પાકાં લાઇસન્સની કામગીરી બંધ થઈ ગઈ હતી. સવારે ડ્રાઇવિંગ ટેસ્ટ અને
લાઇસન્સના કામ માટે આવેલા લોકો બે કલાક બેસી રહ્યા અને સર્વર બંધ રહેવાની માહિતી મળતા ભારે નારાજગી સાથે પરત ગયા હતાં. બે દિવસ કામગીરી બંધ રહેતા અંદાજે 40 હજારથી વધુને સીધી અસર થઈ છે, જેમાં અમદાવાદની ત્રણેય આરટીઓ કચેરીના અંદાજે પાંચ હજાર લોકોનો સમાવેશ થાય છે. વાહનના કાચાં અને પાકાં લાઇસન્સની તમામ
એપોઇન્ટમેન્ટ રિશિડયૂલ કરી દેવાઇ છે.
રાજ્યની 38 RTO કચેરીઓમાં ગુરુવાર સવારે રાબેતા મુજબ વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ અને પાકાં લાઇસન્સના રિન્યુ, ડુપ્લિકેટ, નામ-સરનામું બદલવા અને કાચું રિન્યૂ કરાવવા સહિતના કામ માટે અરજદારો આવ્યા હતાં. પરંતુ સર્વર બંધના પ્રથમ મેસેજમાં સવારે 11.30 વાગ્યા સુધીમાં કામગીરી શરૂ થવાની હતી. પરંતુ થોડીવાર પછી જનરેટ થયેલા બીજા મેસેજમાં 18મી મે, સવારે 10.00 વાગે સર્વર શરૂ થવાનો NIC (નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર) તરફથી મેસેજ કરાયો હતો. આથી બધાને રવાના કરી દેવાયા હતાં. આમ રાજ્યની 225 આઇટીઆઇ સંસ્થાઓમાં પણ કાચાં લાઇસન્સની બે દિવસની 10 હજાર એપોઇન્ટમેન્ટ રદ થઇ હતી, જેમાં અમદાવાદની એક હજાર એપોઇન્ટમેન્ટનો સમાવેશ થાય છે. હવે નવેસરથી લાઇસન્સ કઢાવવાનો ખર્ચ અરજદારોએ ભોગવવો પડશે.
નોકરિયાતો રજા રાખીને આવ્યા અને ધક્કો પડયો
આરટીઓ અને ITI સંસ્થામાં કાચાં-પાકાં લાઇસન્સના કામ માટે નોકરિયાત કે વેપારી વર્ગ કામ ધંધો છોડીને આવે છે, ત્યારે ખબર પડે કે સર્વર બંધ છે. જેના લીધે નોકરિયાત વર્ગની રજા અને વેપારીઓનો સમય બગડે છે. ગુરુવારે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
મેઇન્ટેનન્સના લીધે સર્વર બંધ હોવાનું રટણ
દિલ્હી સ્થિત NIC દ્વારા મેઇન્ટેનન્સના કારણે બે દિવસ સર્વર બંધ રહેશે ત્યાં સુધી લાઇસન્સની તમામ કામગીરી થઈ શકશે નહીં તેમ તંત્ર દ્વારા જણાવાયું હતું. જોકે વાહનની કામગીરી ચાલુ રહેશે.


