- પેસેન્જરો,VVIP મૂવમેન્ટને પગલે અતિસંવેદનશીલ એરપોર્ટની શ્રેણીમાં ‘અમદાવાદ એરપોર્ટ’
- દિલ્હી, મુંબઇ અને બેંગલુરુ સહિતના એરપોર્ટ પર બે ફેઝમાં સ્કેનર લગાવાની કામગીરી કરાશે
- પહેલાં એરપોર્ટ પર 1 હજાર જવાનો તહેનાત હતા જે હવે વધીને 1,600 થયા
અમદાવાદ એરપોર્ટ પેસેન્જરોની અવરજવરમાં વધારો, VVIP મૂવમેન્ટમાં વધારો અને દાણચોરીના કિસ્સાઓને પગલે સંવદેનશીલ એરપોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યુરો દ્વારા અતિસંવેદનશીલ શ્રેણીમાં સમાવેશ કર્યા બાદ આવનારા દિવસોમાં એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાની કામગીરી હાથ ધરાશે. થોડા દિવસ પહેલાં જ દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યૂરોના અધિકારીઓ તેમજ એરપોર્ટ ઓપરેટરો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં અતિસંવેદનશીલ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી બે ફેઝમાં કરાશે. જેમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ સહિતના એરપોર્ટનો પણ સમાવેશ કરાયો છે. આ સ્કેનરથી દાણચોરી કરતાં લોકો પર સંકજો પણ લાવી શકાશે. અતિસંવેદનશીલ શ્રેણીમાં આવતાં CISFના જવાનોની સંખ્યા વધારવામાં આવી છે. પહેલાં એરપોર્ટ પર 1 હજાર જવાનો તહેનાત હતા જે હવે વધીને 1,600 થયા છે.
છેલ્લાં કેટલાક સમયથી સોનું અને ડ્રગ્સની દાણચોરીના કેસોમાં વધારો થયો છે. જેને પગલે કસ્ટમ સહિતની એજન્સીઓ આ નેટવર્કને દૂર કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ફુલ-બોડી સ્કેનર્સની મદદથી દાણચોરી કરતાં પેસેન્જરો પકડાઇ જશે અને આ નેટવર્કને પર અંકુશ મેળવવામાં મદદરૂપ બની રહેવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જૂન મહિનાની આસપાસ એરપોર્ટના વિસ્તારની વોલ પર ઇલેક્ટ્રિક ફેન્સિંગની કામગીરી પણ કરીને એરપોર્ટની સિક્યોરિટીમાં વધારો કરવામાં આવનાર છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની વધતી સંખ્યા, VIP મૂવમેન્ટને પગલે સુરક્ષાના માપદંડોને પણ અપગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો છે.


