- સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરે છેઃ પદ્મિનીબા
- કરણસિંહ કોને પૂછીને નિર્ણય લઇ રહ્યાં છેઃ પદ્મિનીબા
- ‘આંદોલનનો ખર્ચ કોને આપ્યો તેનો જવાબ આપવો જોઇએ’
ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને આપવામાં આવેલ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો હતો. ત્યારે આજે આ વિવાદને લઈને હવે લાગી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં આ વિવાદનો અંત આવી શકે છે. આજે, ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકારો સાથે વાત કરી હતી અને આંદોલનને લઈને નિવેદન આપ્યું હતું તો સમાજના આગેવાન કરણસિંહ પર નિશાન સાધ્યું હતું.
ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ આજે પત્રકાર પરિષદ કરીને નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારું આંદોલન નિષ્ફળ રહ્યું છે પરંતુ પરષોત્તમ રૂપાલાને માફ કરી દઇએ છીએ. વધુમાં સંકલન સમિતિ પર નિશાન સાધતાં તેમણે જણાવ્યું હતું કે સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરી રહી છે અને ગુમરાહ કરી રહી છે. સમાજના આગેવાનો જ સામાજિક નથી રહ્યા.
વધુમાં પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કરણસિંહ ડબલ વાતો કરી રહ્યાં છે. કરણસિંહ કોને પૂછીને નિર્ણય લઇ રહ્યાં છે. વધુમાં તેમણે નિવેદન આપતા સવાલો કર્યા હતા કે, સમાજમાં કઇ 120 સંસ્થા છે તે જાહેર કરો. કોંગ્રેસ સાથે રહીને કરણસિંહ શું કરવા માંગે છે? વધુમાં તેમણે જણાવ્યું હતું કે આંદોલનનો ખર્ચ કોને આપ્યો તેનો જવાબ આપવો જોઇએ’.


