- ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા યોજાશે
- 22 મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
- આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી
ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓના પરિણામો જાહેર થઈ ગયા છે. અને હવે એક અથવા બે વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લઈને ફોર્મ ભરવાની તારીખો લંબાવવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ફોર્મ ભરવા માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓને વધુ એક દિવસનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ 21મી મે એટલે કે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે હવે આવતીકાલે એટલે કે 22મી મે સુધી પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકાશે. મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પરથી પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે.
આગામી 24 જૂનથી લેવાશે પૂરક પરીક્ષાઓ
ગત સપ્તાહે ગુજરાત બોર્ડનું ધોરણ-10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવાની વધુ એક તક શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ વર્ષે પણ નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર પૂરક પરીક્ષાઓને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે જાહેરાત કરતાં કહ્યું છે કે આ વખતે આગામી 24 જૂનના રોજથી પૂરક પરીક્ષાઓ લેવામાં આવશે. જેને લઈને આગામી ટૂંક સમયમાં વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવશે.
પૂરક પરીક્ષાના નિયમોમાં થયો ફેરફાર
ધોરણ.10ની માર્ચની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલ અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 1 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીને જ પુરક પરીક્ષા આપવાની તક મળતી હતી. હવે નવા નિયમ મુજબ ધોરણ.10માં ત્રણ વિષય અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીને પુરક પરીક્ષા આપવા મળશે. આ સિવાય ધોરણ.12 સાયન્સના વિદ્યાર્થીઓને માર્ચની બોર્ડની પરીક્ષા બાદ જુન-જુલાઈમાં યોજાતી પુરક પરીક્ષામાં ફરી તમામ વિષયોની પરીક્ષા આપવાની તક મળશે. એટલે કે, ધો.12 સાયન્સના તમામ વિષયોની બોર્ડ દ્વારા બે વખત પરીક્ષા યોજવામાં આવશે.
શું હતો જૂનો નિયમ
જૂના નિયમ મુજબ, ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જૂલાઈમાં યોજાનારી પુરક પરીક્ષા આપવા મળતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ બે-ત્રણ નહી પણ સંપૂર્ણ પરીક્ષા બીજી વખત આપવાની તક મળશે. માત્ર નાપાસ થયેલ વિષય જ નહી, પણ પાસ થયેલા વિષયોની પરીક્ષા બીજી વખત આપી તેમાથી જે પરિણામ ઊંચુ હોય તેની વિદ્યાર્થી પસંદગી કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ
ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે. જેમાં ગુજરાતમાં ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. જેમાં આજે વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારું પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 8983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર,264 શાળાનું 30 ટકા, 70 શાળાનું શૂન્ય પરિણામ,23247 વિદ્યાર્થીઓએ A1, 78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ,21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર.


