- સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે તાપમાનનો મહત્તમ પારો 44 ડિગ્રી નોંધાયો, હીટવેવથી શહેરીજનો ત્રસ્ત
- હજુ શનિવાર અને રવિવાર ઓરેન્જ એલર્ટ, સોમવારથી આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગની આગાહી
- તાપમાનમાં ઘટાડો છતાં જિલ્લાવાસીઓને હીટવેવમાંથી રાહત મળી નથી
ઝાલાવાડમાં સુર્યનારાયણ આકરા પાણીએ છે. એથી છેલ્લા એક સપ્તાહથી લોકોનું બપોરના સમયે ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. જિલ્લામાં ગત તા. 21મી મેથી સતત 45 ડીગ્રી ઉપર રહેનાર તાપમાનનો પારો શુક્રવારે નજીવો ઘટયો હતો. શુક્રવારે જિલ્લામાં મહત્તમ તાપમાન 44 ડીગ્રી નોંધાયુ હતુ. જે ગુરૂવારના 45.9 ડીગ્રી સામે 1.9 ડીગ્રી ઘટયુ હતુ. તાપમાનમાં ઘટાડો છતાં જિલ્લાવાસીઓને હીટવેવમાંથી રાહત મળી નથી. બીજી તરફ લઘુત્તમ તાપમાન પણ છેલ્લા 6 દિવસથી 29 ડીગ્રી ઉપર રહે છે જે શુક્રવારે 28.4 ડીગ્રી નોંધાયુ છે. આમ વાતાવરણમાં વહેલી સવારે અને મોડી રાત્રે પણ ગરમીની અસર રહે છે. અને સુકા ગરમ પવનોનો લોકો અનુભવ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ગરમીની અસરથી બીમાર પડતા લોકો પર સતત મોનીટરીંગ કરાય છે. જેમાં શુક્રવારે એક જ દિવસમાં 28 લોકોને ગરમીની અસર થઈ હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયુ છે. આ અંગે સુરેન્દ્રનગર એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.જયેશ રાઠોડે જણાવ્યુ કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહીલે શુક્રવારે સવારે જિલ્લાના તમામ ખાનગી હોસ્પિટલના ડોકટર, સરકારી મેડીકલ ઓફીસર અને 108ના અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ કરી ગરમીની અસર વિશેનું રીપોર્ટીંગ સચોટ કરવા જણાવ્યુ હતુ. જેમાં ગરમીના લીધે માથુ દુઃખવુ, ચક્કર આવવા, વધુ પડતો પરસેવો વળવો, ઝાડા-ઉલ્ટી થવી સહિતના 28થી કેસ એક જ દિવસમાં નોંધાયા છે. જેમાં દર્દીને તાત્કાલીક ઠંડકમાં બેસાડી ઓઆરએસ કે જરૂરી દવાઓ આપવામાં આવી તેઓને સ્વસ્થ કરાયા હતા.
લખતરમાં 20 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
લખતરના મોચીબજારમાં રહેતા 20 વર્ષીય પાર્થ નારણભાઈ પટેલે તાજેતરમાં જ કોલેજ પુરી કરી છે. છેલ્લા ર દિવસથી તેની તબીયત નાદુરસ્ત રહેતી હતી. ત્યારે શુક્રવારે બપોરના સમયે ભોજન કર્યા બાદ અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. દુઃખાવો અસહ્ય બનતા પાર્થને પરિવારજનો દ્વારા સુરેન્દ્રનગર દવાખાને લઈ જવાતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. નારણભાઈ પટેલ ખેતી કરે છે. અને પરિવારના એકના એક પુત્રનું હૃદયરોગના હુમલાથી મોત થતા પરીવારજનો પર આભ તુટી પડયુ હતુ.
અસર ઓરેન્જ એલર્ટની : બરફની માંગ વધીને ડબલ થઈ
સુરેન્દ્રનગર શહેરમાં બરફના વિક્રેતા બળદેવભાઈ રીબડીયા અને રવીભાઈ કોરડીયાએ જણાવ્યુ કે, અગાઉ ઉનાળામાં દરરોજ બરફની 30થી 35 પાટ વેચાતી હતી. જયારે છેલ્લા થોડા દિવસોથી દરરોજ 60થી વધુની બરફની પાટ વેચાય છે. લોકોમાં બરફની માંગ ખુબ વધી છે. આ ઉપરાંત સોડાવાળા, બરફના ગોલાવાળા, રસના ચીચુડાવાળા પણ બરફ વધુ માત્રામાં લઈ જાય છે


