- રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી
- આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોત
- 2019માં બનેલી ઘટના તક્ષશિલા કાંડની યાદ તાજી થઈ
રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની. મળતી માહિતી મુજબ, રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી તો હવે આ મૃત્યુઆંક વધીને 26 થઈ ગયો છે. તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટના બાદ 2019માં બનેલી ઘટના તક્ષશિલા કાંડની યાદ તાજી થઈ ગઈ છે.
રાજકોટ ગેમઝોન દુર્ઘટના
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ તક્ષશીલા કાંડમાં ભોગ બનેલી ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ભાઈએ નિવેદન આપ્યું છે. જયસુખ ભાઈએ કહ્યું કે, તક્ષશીલા કાંડના કસૂરવારો ને હજી સજા મળી નથી. કોઈપણ મોટી દુર્ઘટના બાદ સરકાર કહેશે કે કોઈ પણ ચબરબંધી ને છોડીશું નહીં, પરંતુ ચબરબંધીને પકડતા જ નથી છોડવાની ક્યાં વાત આવે છે. વધુમાં તેમણે રાજકોટ ગેમઝોન ઘટનાના કસૂરવારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. આ સાથે તેમણે રાજકોટની ઘટનામાં વીજ કંપની, ફાયરના અધિકારી, મનપાના અધિકારી સામે પણ પગલાં લેવાનું કહ્યું છે.
તક્ષશિલા દુર્ઘટના
24 મે, 2019ના રોજ સુરતના સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડ નામની બિલ્ડિંગના સૌથી ઉપરના માળે આગ લાગતા કોચિંગ ક્લાસમાં તૈયારી કરી રહેલાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 15 ઈજાગ્રસ્ત થયા હતા. નોંધપાત્ર બાબત એ છે કે આ કોચિંગ ક્લાસ શોપિંગ કોમ્પ્લેક્સના સૌથી ઉપરના માળે ગેરકાયદેસર રીતે ઊભા કરેલાં માળખાંમાં ચલાવવામાં આવતા હતા. પ્રત્યક્ષદર્શીઓનો આરોપ હતો કે સૌપ્રથમ જે ટેન્કર પહોંચ્યું, તેનો પાણીનો ફોર્સ ઓછો હતો, બીજું ટેન્કર પહોંચ્યા બાદ ફોર્સ વધ્યો હતો. ફાયર-ફાઇટર ત્રીજા માળ સુધી પહોંચી શક્યા નહોતા. આથી બાળકોએ ઉપરથી કૂદી જવું પડ્યું જેને કારણે મૃતકો તથા ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો હતો.


