- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ટેન્કરના 838 ફેરા
- હીટવેવની સ્થિતિમાં ગામડાંઓમાં પાણીની અછતની દયનીય સ્થિતિ
- બનાસકાંઠા બાદ સૌથી વધુ પાણીની તકલીફ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી
ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે 10 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો કકળાટ વધ્યો છે. છેલ્લા બે દિવસમાં રાજયના 10 જિલ્લાના દોઢસો જેટલા ગામોમાં ટેન્કરના 838 ફેરા મારફત લોકોને પીવાનું પાણી પહોંચાડાયુ છે.
શનિવારે 10 જિલ્લાના 144 ગામોમાં 622 ટેન્કરના ફેરા નોધાયા છે. બનાસકાંઠા જીલ્લાનાં 50 ગામોમાં સૌથી વધુ ટેન્કરોને મોકલવાની ફરજ પડી છે. જેમાં એક દિવસમાં 207 ફેરા થયા છે તેમાં અમીરગઢ, ડીસા, દાંતા, વાવ અને સુઈગામ તાલુકાઓના છેવાડાના ગામનો સમાવેશ થાય છે. બનાસકાંઠા બાદ સૌથી વધુ પાણીની તકલીફ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે, અહીંનાં 38 ગામોમાં ટેન્કરના 171 ફેરા લગાવવા પડયા છે. 39 જેટલા ખાનગી ટેન્કરોની મદદ લઈને ઉના, તાલાલા, વેરાવળ અને સૂત્રાપાડા તાલુકાના ગામોમાં પાણીના ટેન્કરો દોડાવવામાં આવ્યા છે. એ જ રીતે પાટણના 3 ગામમાં 3 ફેરા, જામનગરના 5 ગામમાં 21 ફેરા, રાજકોટના 7 ગામમાં 45 ફેરા, સુરેન્દ્રનગરના એક ગામમાં 3, કચ્છના 15 ગામમાં 27 ફેરા, અમરેલીના 12 ગામમાં 71 ફેરા, દેવભૂમિ દ્વારકાના 3 ગામમાં 16 ફેરા, ભાવનગરના 10 ગામમાં ટેન્કરના 58 ફેરા લગાવાયા છે. 26મી મે ના રિપોર્ટ પ્રમાણે રાજ્યના 9 જિલ્લાના 56 ગામમાં 216 ટેન્કરના ફેરા થયા છે, જેમાં સૌથી વધુ ભાવનગરના 11 ગામોમાં 64 જેટલા ફેરા થયા છે, ઘોઘા, તળાજા, પાલીતાણા, ભાવનગર અને મહુવાના ગામોમાં પીવાના પાણીને લઈ સમસ્યા ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લાના 13 ગામોમાં 43 ફેરા અને અમરેલીના ખંભા તેમજ સારવકુંડલા તાલુકાના 7 ગામોમાં ટેન્કરના 33 ફેરા મારફત પાણી પૂરું પાડવામાં આવ્યું છે. કયાંક પાઈપલાઈનમાં ભંગાણ સહિતના વિવિધ કારણસર આ સ્થિતિ જોવા મળી છે.


