- શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરે તે પહેલા વનરાજના દર્શન થયા
- બેડિયા ગામે ખોડિયાર ધાર પર વનરાજ મંદિરમાં દર્શન કરવા આવ્યો
- દર્શન કરી સિંહે મંદિર પરિસરમાં વિશ્રામ કર્યો
ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામે ખોડિયાર ધાર પર વનરાજ મંદિરમાં દર્શન કરવા આવ્યાનો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બેડિયા ગામે ભર બપોરે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વનરાજ ખોડિયાર માતાના મંદિરમાં દર્શન કરી મંદિરમા વિશ્રામ કરતા નજરે પડ્યા છે.
માતાજીના દર્શન કરે તે પહેલા વનરાજના દર્શન થયા
ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરે તે પહેલા વનરાજના દર્શન થયા હોય તેનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયા વાયરલ કર્યો છે. અગાઉ અમરેલીના ખાંભા ગીરના ખડાધાર નજીક સિંહનું ટોળું તરસ છીપાવવા પહોંચ્યું હતું. ખડાધાર નજીક આવેલા સંત હકાબાપાના મંદિર તરીકે પ્રખ્યાત જગ્યા પર સિંહ પરિવાર આવી પહોંચ્યો હતો. જ્યાંના સીસીટીવી કેમેરામાં સિંહ પરિવાર કેદ થયો હતો. મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મંદિરના પરિસરમાં રાખવામાં આવેલા પાણી ભરેલા ટબમાં એકીસાથે 5 સિંહબાળ અને 2 સિંહણ તરસ છીપવતી નજરે પડી રહી છે. ધોળાદિવસે સિંહનું ટોળું પાણીની તરસ છીપવવા સંત હકાબાપાના મંદિર ખાતે પહોંચતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં અગાઉ પાણી પીતા સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સિંહણની સ્મૃતિમાં ગામ લોકોએ પ્રેમ વ્યક્ત કરતા મંદિર બનાવ્યું
સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીરના જંગલમાં જ સિંહનો વસવાટ છે. ગીરના જંગલમાં દરવર્ષે લાખો પ્રવાસીઓ દેશ-વિદેશથી સિંહ દર્શન માટે આવે છે. અને હવે તો સિંહ પ્રેમીઓ ભેરાઈ ગામની મુલાકાતે પણ આવે છે કે જ્યાં મૃતક સિંહણની સ્મૃતિમાં ગામ લોકોએ પ્રેમ વ્યક્ત કરતા મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં પણ સિંહ પ્રેમીઓ નિયમિત મુલાકાતે આવે છે. સિંહણનું સ્મૃતિ મંદિર બનાવવા માટે સ્થાનિક ખેડૂતે પોતાની જમીન પણ દાનમાં આપી હતી. તો ગામ લોકોએ ફાળો એકત્ર કરીને આ મંદિરનું નિર્માણ કર્યું છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે સિંહ પ્રેમીઓ અને વન અધિકારીઓની હાજરી વચ્ચે આ સિંહ મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમાં મહાઆરતી, સિંહ ચાલીસા, ભજન, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તેમજ મૃત સિંહણને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.


