- ભાવનગર ઘોઘા હજીરા વચ્ચે ચાલતી રો-રો ફેરીમાં ઓવર લોડ ટ્રકો જતા હોવાને લઇને ચેકીંગ હાથ ધરાયું
- રો રો ફેરીના જહાજમાં મુકાયેલા ટ્રકોનું ચેકીંગ હાથ ધરતા 17 જેટલા ટ્રકો ઓવરલોડ જોવા મળ્યા
- તમામ ટ્રક ચાલકો ને દંડ સ્વરૂપે મેમો અપાયા
ભાવનગર ઘોઘા બંદરેથી સુરત, હજીરા વચ્ચે રો-રો ફેરી જહાજ દ્વારા મુસાફરો તેમજ ટ્રકો, બસો, કારની હેરાફેરી થતી હોય છે. ઓવરલોડ ટ્રક માલ ભરતા સંચાલકો પોલીસ કાર્યવાહીથી બચવા માટે થઇને રો-રો ફેરી જહાજમાં ઓવલોડ માલ ભરી ટ્રકો જહાજમાં સુરત મોકલવામાં આવતા હોવાની ભાવનગર આર.ટી.ઓ.ને માહિતી મળી હતી જે અન્વયે ઘોઘા બંદર ખાતે રો- રો ફેરી જહાજમાં ટ્રકો, બસો તેમજ અન્ય વાહનોનું ચેકીંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન ઓવરલોડ માલ ભરાયેલા 17 જેટલા ટ્રકો ઝડપાયા હતા જે તમામને આર.ટી.ઓ. દ્વારા દંડ સ્વરૂપે મેમો અપાયા હતા.
વધુ પડતુ ઓવરલોડીંગ થતુ હતુ
ભાવનગર ઘોઘા બંદરથી હજીરા, સુરત વચ્ચે રો-રો ફેરી સેવા દરમિયાન આવા વધુ પડતા ઓવરલોડીંગને કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જહાજમાં વાહનની ભારવહન ક્ષમતા જેટલા વજનનો માલ ભરેલ હોય તેવી જ ટ્રકની હેરાફેરી થાય તે મુજબની તકેદારી રાખવા તથા મોટરવાહન કાયદા, સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમ તથા ગુજરાત મોટર વ્હીકલ નિયમોનું પાલન કરાવવું જરૂરી જણાયું છે.
મેનેજરને પત્ર લખી કરાઈ જાણ
ઓવરલોડ વાહનોની જોખમી હેરફેરથી રો રો ફેરીનું જહાજ પણ મધ દરિયે મુશ્કેલીમાં મુકાય જાય તેવી ઘટના ન ઘટે તે હેતુ હકિકત સામે આવતા આર.ટી.ઓ. દ્વારા આ મુદ્દે સજાગતા રાખી યોગ્ય પગલા આપવા સહિતની બાબતોને લઈ રો રો ફેરી સર્વિસના મેનેજર ડી.જી.સી. કનેકટને પત્ર લખી જાણ કરાઈ છે.
ગાંધીનગર આરટીઓએ લીધો મહત્વનો નિર્ણય
ગાંધીનગર આરટીઓએ જપ્ત કરેલા ભારે વાહનોનો આરટીઓ સંકુલમાં જ ખડકલો કરવામાં આવ્યો છે. હાલ આરટીઓની શોભા વધારી રહેલી લક્ઝરી બસ, ટ્રક તથા સ્કુલવાન સહિતના 11 વાહનો ટેક્સ ભરીને છોડાવવા માટે તેના માલિકો આવતા નથી ત્યારે ફરી એકવાર માલિકોને નોટિસ આપવામાં આવી છે. જેનો જવાબ નહીં આપવામાં આવે તો હરાજી કરીને વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


