- ખાણમાં ખોદકામ કરતી વખતે કિશોરનું મોત
- થાનગઢ વેલાળા ગામે કોલસાની ખાણમાં મોત
- અન્ય બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે ખનનનો ગોરખધંધો ચાલી રહ્યો છે જેને લઈને અનેકવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને આવા લેભાગુઓ પર લગામ લગાવવાના પ્રયાસો કરવામાં આવે છે પરંતુ વહીવટી તંત્રના નાકની નીચે અનેક ગેરકાયદેસર ખનનની પ્રવૃતિઓ આજે પણ ચાલી રહી છે. જોકે, આજે આ ખનન માફિયાઓના કારણે એક નિર્દોષ કિશોરનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ખનન માફીયાઓ દ્વારા ન માત્ર યુવાનો પરંતુ ખનનની કામગીરીમાં કિશોરોને પણ મજૂરી કામે રાખવામાં આવતા હોય છે ત્યારે ખનન માફિયાઓના પાપે આજે વધુ એક બાળ મજુરનું ખાણમાં મોત નિપજ્યું હોવાના સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, થાનગઢના વેલાળા ગામે કોલસાની 120 ફૂટ ઉંડી ખાણમા સુરંગ ખોદકામ કરતા અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં દટાઈ જતાં એક કિશોર મજુરનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક કિશોર 16 વર્ષીય નિર્ભર મધ્ય પ્રદેશનો વતની હતો અને તેને મજૂરી કામ માટે રાખવામાં આવ્યો હતો. ઘટના સમયે તેને ખોદેલી સુરંગમાં ઉતારવામાં આવ્યો હતો. તો મૃતક કિશોરની સાથે સાથે ભેખડ ધસી પડતાં અન્ય 2 મજૂરો પણ દટાઈ જતાં ઇજાગ્રસ્ત થયા હતા.

તો ગેરકાયદેસર ચાલતા ખનનમાં આજે વધુ શ્રમિકનું મોત થતાં સવાલો થઈ રહ્યા છે કે વારંવાર મજૂરોના મોત થવા છતાં ગેરકાયદેસર ચાલતી ખનન પર આખરે ક્યારે નિયંત્રણ આવશે. એમ પણ સવાલો થઈ રહ્યા છે કે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ આખરે કેમ આ પ્રકારની પ્રવૃતિઓ સામે આંખ આડા કાન કરી રહી છે.


