- મહિલાઓની પાણીના ખાલી માટલા સાથે મામલતદારને રજૂઆત
- દરરોજ એક-બે કિમીના અંતરે પાણી ભરવા જવું પડતું હોવાથી પરિવારની દીકરીઓને અભ્યાસને આવજો કરવું પડતું હોવાની રાવ
- તંત્રના વાંકે ઘણીવાર પાણી માટે શ્રામજીવી પરિવારોને કાવડિયા ખર્ચીને પાણીના કેરબા અને ટેન્કર લેવા પડે છે !
ચૂડા તાલુકામાં પાણીની પરિસ્થિતિ વિકટ છે. ત્યારે ચૂડાના છત્તરીયાળા રોડ અને ચુડા નદી કાંઠે રહેતા 35થી વધુ પરિવારોને પાણી માટે રઝળપાટ કરવો પડે છે. આથી વિચરતા સમુદાય સમર્થન મંચના નેજા હેઠળ મામલતદાર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી આ પરિવારોને પાણી મળે તેવી કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં ખરા ઉનાળે પાણીના પોકારો ઉઠયા છે. થોડા દિવસ પહેલા તાલુકાના નવી મોરવાડ, જુની મોરવાડ, ઝોબાળા સહિતના ગામોના લોકોએ મામલતદાર કચેરીએ રાતના સમયે હલ્લાબોલ કર્યો હતો. ત્યારે ચૂડા શહેરના છત્તરિયાળા રોડ અને નદીકાંઠે રહેતા વિચરતી અને વિમુકત જાતિના 35થી વધુ પરીવારોએ પાણી માટે માટલા સાથે લઈને મામલતદાર કચેરીમાં ગુરૂવારે રજૂઆત કરી છે. વિચરતા સમુદાય સમથર્ન મંચના હર્ષદ વ્યાસના નેજા હેઠળ વિચરતી અને વિમુકત જાતિના દેવીપુજક, સરાણીયા, કોળી પરિવારોએ કરેલ લેખિત રજૂઆતમાં જણાવાયા મુજબ આશરે 60થી વધુ વર્ષોથી તેઓ અહીં છાપરામાં રહે છે. તેઓની પાસે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ પણ છે. પરંતુ તેઓને પાણીની લાઈન અપાઈ નથી. આથી આસપાસની સોસાયટીઓમાં ઘરની મહિલાઓ અને દિકરીઓને 1થી 2 કિમી ચાલીને પાણી ભરવા જવુ પડે છે. પાણીની પરિસ્થિતિ વિકટ હોવાથી પરિવારની દિકરીઓ અભ્યાસ છોડી દેવા પણ મજબુર બની છે. જયારે કોઈવાર પૈસા ખર્ચીને કેરબા કે ટેન્કર લેવા પડે છે. આથી આ પરિવારોને પાણી મળી રહે તેવી કાર્યવાહી કરવા રજૂઆતના અંતે માંગણી કરાઈ છે.


