- NDAની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા પૂનમ માડમ
- ગુજરાત લોકસભાની ચૂંટણીમાં જીત અંગે જનતાનો આભાર
- `NDA એ જૂનું અને ઓર્ગેનિક ગઠબંધન’: પૂનમ માડમ
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપના નેતૃત્વ વાળા ગઠબંધન NDAને 292 બેઠકો મળી છે. ત્યારે હવે ટૂંક સમયમાં દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવશે. 9 જૂનના રોજ નરેન્દ્ર મોદી દેશના 20માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. ત્યારે, શપથ પહેલા NDAના વિજેતા સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ભાગ લેવા માટે ભાજપના 25 વિજેતા સાંસદો પણ દિલ્હી પહોંચ્યા છે જેમાં જામનગરના સાંસદ પૂનમ માડમ પણ એક છે.
દિલ્હી પહોંચેલા પૂનમ માડમે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં જંગી લીડથી જીત બાદ માડમ સાથે સંદેશ ન્યૂઝે સંવાદ કર્યો હતો. જેમાં સૌથી પહેલા પૂનમ માડમે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં જીત અપાવવા માટે જનતાનો આભાર માન્યો હતો અને ક્ષત્રિય આંદોલનને લઈને પણ નિવેદન કર્યું હતું.
સંદેશ ન્યૂઝ સાથે વાત કરતાં સાંસદ પૂનમ માડમે વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ વાળા NDAને સ્પષ્ટ બહુમતી મળી છે. NDA એ જૂનું અને ઓર્ગેનિક ગઠબંધન છે અને દેશની જનતાએ મોદી સાહેબના નેતૃત્વમાં NDAને જવાબદારી સોંપી છે. ત્યારે દેશની આશાઓ અને અપેક્ષાઓને NDA પૂર્ણ કરશે.


