દરિયાઇ પ્રવાસન સ્થળોના વિકાસથી ગુજરાતના અર્થતંત્રને વેગ મળ્યો
દ્વારકાનો પિરોટન પાર્ક, ડોલ્ફિન ટૂરીઝમ, ટર્ટલ ટૂરિઝમ, માધવપુર, નવદરા, જાફરાબાદ સહિતના કોસ્ટલ વિસ્તાર પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત પોતાના લાંબા દરિયાકિનારા, સમૃદ્ધ દરિયાઈ જીવસૃષ્ટિ, ટાપુઓ અને હરિયાળા જંગલોને આધારે ઇકો અને મરીન ટૂરિઝમ ક્ષેત્રે નવી ઓળખ બનાવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કુદરતી સંપદાનું સંરક્ષણ જાળવી રાખીને તેને પ્રવાસન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રને પણ નવી ગતિ મળી રહી છે.
જામનગર અને દ્વારકા વિસ્તારના ટાપુઓમાં પિરોટન મરીન નેશનલ પાર્કને ઇકો-ટૂરિઝમ માટે વિકસાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત બેટ દ્વારકામાં ડોલ્ફિન ટૂરિઝમ અને ઓખામઢી વિસ્તારમાં ટર્ટલ ટૂરિઝમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. દરિયાઈ જીવસૃષ્ટિને નજીકથી જોવાનો અનોખો અનુભવ પ્રવાસીઓને મળી રહ્યો છે.
માધવપુર, નવદરા અને જાફરાબાદ જેવા દરિયાકિનારાના વિસ્તારોમાં એડવેન્ચર પ્રવૃત્તિઓ અને મરીન ટૂરિઝમના વિકાસથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. આ વિકાસનો સીધો લાભ સ્થાનિક યુવાનો, બોટ સંચાલકો, નાના વેપારીઓ અને પર્યટન સાથે જોડાયેલા વ્યવસાયોને મળી રહ્યો છે.
ઇકો અને મરીન ટૂરિઝમનો મુખ્ય હેતુ માત્ર પ્રવાસન વધારવાનો નથી, પરંતુ કુદરતી સંપત્તિનું સંરક્ષણ, સ્થાનિક લોકોને રોજગારી અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો પણ છે. રાજ્યમાં ચાલી રહેલી વિવિધ પહેલો ગુજરાતને ઇકો-ટૂરિઝમ અને મરીન ટૂરિઝમ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન અપાવી શકે છે.
જંગલ અને પહાડી વિસ્તારોમાં પણ વધી રહ્યું આકર્ષણ
દરિયાઈ પ્રવાસન ઉપરાંત પંચમહાલ જિલ્લાના જંબુઘોડા અભયારણ્યમાં આવેલા ભાટ અને ધનપુરી ઇકો-ટૂરિઝમ (Tourism) સેન્ટરો પ્રકૃતિપ્રેમીઓ માટે લોકપ્રિય બની રહ્યા છે. અહીં ટ્રેકિંગ, વન્યજીવન અને સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનો અનોખો અનુભવ પ્રવાસીઓને આકર્ષે છે.
તે જ રીતે ડાંગ જિલ્લાના સાપુતારાહિલ સ્ટેશનમાં વર્ષભર યોજાતા વિવિધ કાર્યક્રમો અને કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસન પ્રવૃત્તિઓ સતત વધી રહી છે, જેના પરિણામે સ્થાનિક હોટેલ, હસ્તકલા અને નાના વેપારીઓને રોજગારીની નવી તકો મળી રહી છે.


