- ગુજરાતનો આવકનો દાખલો ફરજિયાત માંગવામાં આવતા સમસ્યા
- આધાર સહિતના ડોક્યુમેન્ટ્સ અહીંના ન હોવાથી આવકનો દાખલો મેળવવો મુશ્કેલ
- દસ્તાવેજોમાં સરનામું રાજ્યનું ન હોવાને કારણે આવકનો દાખલો ન મળવાથી યોજનાનો લાભથી વંચિત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સ્કોલરશિપ યોજનામાં અન્ય રાજ્યમાંથી આવતા અને ગુજરાતમાં અભ્યાસ કરતા અનેક બાળકોને અન્યાય થતો હોવાની ફરિયાદો ઊઠી છે. આ યોજનામાં આવકનો દાખલો ફરજિયાત ગુજરાતનો માગવામાં આવે છે. બીજી તરફ અન્ય રાજ્યના ઘણા પરિવારોના ડોક્યુમેન્ટ્સ તેમના મૂળ નિવાસના હોવાથી આવકનો દાખલો મેળવી શકતા નથી. આ કારણસર અનેક વિદ્યાર્થીઓ સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે તેમ ન હોવાની ફરિયાદો ઊઠી છે.
સ્કોલરશિપ યોજનાના ઠરાવમાં જે વિદ્યાર્થીઓ ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ ધોરણ-9માં પ્રવેશ મેળવે અને તેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેથી ઓછી હોય તેઓને આ સહાય મળવા પાત્ર થાય છે તેમ જણાવાયું છે. આ માટે તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે. રાજ્યમાં ઘણા બધા શ્રમિકો, સેવકો અન્ય રાજ્યોમાંથી પણ આવતા હોય છે અને છૂટક મજૂરી કે અન્ય પરચૂરણ કામ કરીને અથવા તો ખાનગી સેક્ટરમાં નોકરી કરી પોતાનું ગુજરાત ચલાવતા હોય છે. આવા પરિવારોના બાળકો પણ ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા હોય છે. આમ, આવા બાળકો પણ નબળી આવક વર્ગમાં આવતા હોવા છતાં પણ તેમના બાળકને આ લાભ ન મળી શકે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આ બાબતે સરકારે નક્કી કરેલા આવકના દાખલાના આધારે જ મળવા પાત્ર લાભ માટે રજિસ્ટ્રેશન કરી શકે તેમ જણાવાયું છે. અન્ય રાજ્યમાંથી નોકરી-ધંધા અર્થે ગુજરાતમાં આવેલા અનેક પરિવારોના આધાર કાર્ડ અને રેશનકાર્ડ જેવા દસ્તાવેજોમાં સરનામું રાજ્યનું ન હોવાને કારણે આવકનો દાખલો ન મળવાથી યોજનાનો લાભ મળી શકતો નથી.


