- રાતના સમયે શહેરની મેઈન બજાર અને વિવિધ વોર્ડમાં ગટરોની સફાઈ કરાઈ
- રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ન ભરાય તે માટે આગોતરું આયોજન કરાયું
- રાજાશાહી વખતની અંડરગ્રાઉન્ડ ગટરો પણ છે તેની પણ સફાઈ કરવામાં આવનાર હોવાનું પાલીકાના સુત્રોએ જણાવ્યું
ઝાલાવાડમાં ચોમાસુ દસ્તક દઈ રહ્યુ છે. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલીકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી પ્રી મોન્સુન કામગીરી હાથ ધરાઈ છે. દિવસે વેપારીઓ અને રસ્તેથી પસાર થતા લોકોને તકલીફ ન પડે તે માટે પાલીકા દ્વારા રાતના સમયે ગટરોની સફાઈ કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ લોકો આકરા ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ થોડા સમયમાં જ ચોમાસાનું આગમન થવા જઈ રહ્યુ છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં ખાસ કરીને દર વર્ષે જયાં વરસાદીનો ભરાવો થાય છે અને તેના લીધે લોકોને મુશ્કેલી પડે છે તેવા સ્થળોએ પાલીકા દ્વારા આગોતરૂ આયોજન કરાયુ છે. પાલીકાના ચીફ ઓફીસર મંટીલ પટેલ, પાલીકા પ્રમુખ કુલદીપસીંહ ઝાલા, સેનેટરી ઈન્સપેકટર જયદીપસીંહ ઝાલાની દેખરેખ નીચે પાલીકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી રાતના સમયે શહેરના વીવીધ વોર્ડ વિસ્તારો અને મેઈન બજારમાં ખુલ્લી ગટરો અને ભુગર્ભ ગટરોની સફાઈ કરવામાં આવી રહી છે. દિવસે આ કામગીરી કરવાથી લોકોને મુશ્કેલી પડે તે માટે રાતના સમયે આ કામગીરી સફાઈ કામદારો અને જેસીબી વડે કરવામાં આવે છે. જેમાં શહેરના હળવદ રોડ, જોગાસર રોડ, રેલવે સ્ટેશન રોડ, બસ સ્ટેશન રોડ, રોકડીયા હનુમાન પાસે, માન મેલાત પાસે, સોની તલાવડી સહિતના વિસ્તારોમાં પાલીકા દ્વારા સફાઈ કરવામાં આવે છે. ધ્રાંગધ્રામાં રાજાશાહી વખતની અંડરગ્રાઉન્ડ ગટરો પણ છે તેની પણ સફાઈ કરવામાં આવનાર હોવાનું પાલીકાના સુત્રોએ જણાવ્યું હતું.


