પોલીટેક્નિક સંસ્થાઓમાં સ્ટાફની અછતથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલો
31 સંસ્થાનમાં કાયમી આચાર્ય જ નથી: પડતર સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે મંડળની રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો અંત લાવવા માટેની માંગ ઉઠી છે. પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા ટેકનિકલ શિક્ષણ કચેરીને પત્ર લખી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે રજૂઆત કરી છે. તેમજ અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા અને તમામ સરકારી પોલિટેકનિકમાં નિયમિત આચાર્યની નિમણૂક કરવા પણ માંગ કરવામાં આવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા હજુ સુધી અમુક પ્રશ્નોનોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી વહેલી તકે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા ફરી એક વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ડિપ્લોમા પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ અને રોજગાર ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓ દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ DRDO, ISRO સહિતની વિવિધ સંસ્થાઓમાં મહત્વની સેવાઓ આપી રહ્યા છે.
છતાં ટેકનિકલ શિક્ષણનો પાયો મજબૂત બનાવતા અધ્યાપકોના અનેક પ્રશ્નો વર્ષોથી ઉકેલાયા નથી. જેથી ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ માટે જરૂરી માનવબળ, બઢતી અને ભરતી જેવી બાબતોમાં વિલંબ થવાને કારણે શિક્ષણ વ્યવસ્થા પર સીધી અસર થતી હોવાની પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યની 32 સરકારી પોલિટેકનિક સંસ્થાઓમાંથી માત્ર એક જ સંસ્થામાં નિયમિત આચાર્ય કાર્યરત છે, જ્યારે બાકીની સંસ્થાઓમાં ઇન્ચાર્જ વ્યવસ્થા હેઠળ જ કામગીરી ચાલી રહી છે.
આચાર્ય, વિભાગ વડા તથા વ્યાખ્યાતાની ખાલી જગ્યાઓના કારણે શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર ભાર વધી રહ્યો છે. વર્ગ 1 અને વર્ગ 2ની તમામ ખાલી જગ્યાઓ નિયમિત ભરતી દ્વારા ભરવા અને વર્ગ 2ની લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ પર તાત્કાલિક નિમણૂક કરવાની તેમજ GPSC દ્વારા ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ નવી સ્ટ્રીમ અને વધતા વિદ્યાર્થીઓના પ્રવેશને ધ્યાનમાં રાખીને વધારાની મંજૂર જગ્યાઓ ઉભી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. વર્ષોથી અટવાયેલી બઢતી પ્રક્રિયા પૂર્ણ કરવા, ઉચ્ચ પદો પર સમયસર પ્રમોશન આપવા, વિવિધ કેડરના શિક્ષકોને મળવાપાત્ર લાભોનો અમલ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ટેકનિકલ શિક્ષણમાં બદલાતી ટેકનોલોજીને અનુરૂપ નવી લેબોરેટરી, આધુનિક સાધનો અને પૂરતી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ બધા પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા વર્ષોથી સરકાર સમક્ષ વારંવાર રજૂ કરવામાં આવી છે. તેમ છતાં મોટાભાગના મુદ્દાઓ આજે પણ પડતર છે જેનું સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવવામાં આવ્યું નથી. રાજ્યમાં કુશળ ટેકનિકલ માનવબળ તૈયાર કરવા માટે સરકારી પોલિટેકનિક સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે અને તે માટે શિક્ષકોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવા માટે માગ કરવામાં આવી છે.


