- ગીતામંદિર પાસે થયેલી એક કિલો સોનાની લૂંટનો મામલો
- કર્મીએ પોલીસપુત્ર અને અન્ય મિત્રને ખોટું બોલીને વાતોમાં ભોળવીને ગુનામાં સંડોવ્યા
- પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા પેટ્રોલપંપ પર જ્વેલર્સકર્મી જ બંને શખ્સોને થેલો આપતો નજરે આવ્યો
ગીતામંદિર પાસે થયેલ લૂંટ મામલે ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. જેમાં જ્વેલર્સ કર્મીના પિતાને દેવું થઇ ગયુ હોવાથી તે પૂરૂ કરવા તેને કોલેજના બે મિત્રો સાથે મળીને અઠવાડિયા પહેલા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા પેટ્રોલપંપ પર જ્વેલર્સકર્મી જ બંને શખ્સોને થેલો આપતો નજરે આવ્યો હતો.
જેથી તેની ઉલટ તપાસ કરતા ભાંડો ફૂટયો હતો. જેમાં એક પોલીસપુત્ર પણ સામેલ છે. મુખ્ય આરોપી જ્વેલર્સ કર્મીએ બંને મિત્રોને ખોટુ બોલીને વાતોમાં ભોળવીને ગુનાને અંજામ આપવામાં સંડોવ્યા હતા. હાલમાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કાલુપુરમાં રહેતા મોહમદ ઇરફન ઝવેરી જમાલપુરમાં અસરફી જ્વેલર્સ નામની દુકાન ધરાવી ધંધો કરે છે. જેમાં તેમના ત્યાં એક વર્ષથી ધરમ ઠક્કર નોકરી કરતો હતો. ગત 15 જૂને બપોરના સમયે ધરમ દેડકાની પોળમાં આવેલ ગુજરાત ગોલ્ડ લિમિટેડમાંથી રૂ. 9 લાખ રોકડા અને બીલ ચીઠ્ઠી લઇને થેલામાં મૂકીને ખાડિયામાં આવેલ વેપારીને ત્યાંથી તેમનું 1 કિલો 96 ગ્રામ રૂ. 76 લાખનું સોનુ એમ કુલ રૂ. 85 લાખની મત્તા થેલામાં ભરીને એક્ટિવામાં લટકાવીને ઓફ્સિે આવવા નીકળ્યો હતો. ત્યારે આસ્ટોડિયા પાસે પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા તે ઉભો હતો ત્યારે એક્ટિવા પર બે બુકાનીધારી શખ્સોએ આવ્યા હતા અને રાયપુર જવાનો રસ્તો પૂછયો હતો. જે બાદ ધરમ આરોગ્ય ભવન પાસે પહોચ્યો તે સમયે બંને શખ્સોએ તેના એક્ટિવા આગળ એક્ટિવા ઉભી રાખીને તેને માર મારીને સોનુ અને રોકડ ભરેલ થેલો લૂંટીને નાસી ગયા હતા. જેથી ધરમે ઇરફનભાઇ અને પોલીસને જાણ કરી હતી. આ અંગે ઇરફનભાઇએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા ધરમે જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં તપાસ કરતા આવો કોઇ બનાવ બન્યો ન હોવાનું સામે આવ્યુ હતુ.
જેથી પોલીસે પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ધરમે તેના બે મિત્રો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. જેથી પોલીસે ધરમની ઉલટ તપાસ કરતા તેને જણાવ્યુ કે તેના બે મિત્રો કેશવ ઓમપ્રકાશ ત્રિપાઠી ઘોડાસર અને હર્ષ કાશીભાઇ ચંડેલ ઘોડાસર સાથે મળીને લૂંટનો પ્લાન ઘડયો હતો. જેમાં ધરમના પિતાને દેવુ હોવાથી તે પૂરૂ કરવા તેને બંને મિત્રોને ખોટુ જણાવ્યુ કે તેને વેપારી પાસેથી રૂપિયા લેવાનાછે પરંતુ આપતો નથી.
જેથી લૂંટ કરી લઇએ. ત્યારે પણ બંને મિત્રોએ એમ પણ કહ્યુ હતુ કે આ એક પ્રકારનો ગુનો છે. ત્યારે ધરમે કહ્યુ કે હું પોલીસ ફરિયાદ નહિ થવા દઉ અને વેપારી જશે તો મારે લેવાના રૂપિયા વાળી લઇશ તેમ કહીને બંને મિત્રોને વિશ્વાસમાં લીધા હતા. આટલું જ નહિ ત્રણેય મિત્રો ગુરૂકુળ રોડ પર આવેલ કોલેજમાં સાથે ભણતા હોવાથી મિત્રતા થઇ હતી. તેમજ બંને મિત્રોને રૂપિયાની લાલચ જાગી હોવાથી ધરમે થોડા રૂપિયા આપવાનું કહ્યુ હતુ. જેમાં કેશવના પિતા ઓમપ્રકાશ શાહીબાગ હેડ ક્વાટર્સમાં પોલીસમાં નોકરી કરે છે. ત્યારે અઠવાડિયા પહેલા લૂંટનો પ્લાન બનાવ્યો હતો.


