મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત છે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં રાજય સરકાર તરફથી એકશન ટેકન રિપોર્ટ રજૂ નહી થતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ભારે નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, સીટના રિપોર્ટમાં મોરબી નગરપાલિકાની સીધી બેદરકારી અને જવાબદારી સામે આવી છે તે રિપોર્ટ બાદ તમે મોરબી નગરપાલિકાના હોદેદારો વિરૂધ્ધ શું કાર્યવાહી કરી કે પગલાં લીધા….?? હાઇકોર્ટે સમગ્ર મામલે સરકાર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો હતો. વધુમાં, હાઈકોર્ટે ઓરેવા કંપનીને પણ હુકમ કર્યો હતો કે, તમે દર વખતે નવી વાત લઈને આવો છો પરંતુ તમે પીડિતો માટે ચોક્કસ શું કરવા માંગો છો તે સ્પષ્ટ કરો.
બીજીબાજુ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના પીડિતો તરફથી હાઈકોર્ટમાં નવી એક અરજી દાખલ કરી વળતર વધારવા અને જે બ્રિજ તૂટી પડયો છે, તે કોણ સરકાર બનાવશે કે ઓરેવા કંપની બનાવશે તે મુદ્દે સ્પષ્ટતા કરવા પણ દાદ મંગાઇ છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નીપજવાની કરૂણાંતિકાને લઇ હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પિટિશનની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે સરકારપક્ષને સીધો સવાલ કર્યો હતો કે, તમે ગત સુનાવણીમાં સોગંદનામાં પર એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવાની વાત કરી હતી અને સીટના રિપોર્ટ અનુસંધાનમાં જરૂરી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી, તે મામલે શું કાર્યવાહી થઈ છે. હજુ સુધી એકશન ટેકન રિપોર્ટ કેમ રજૂ નથી કર્યો..? કે જયારે ખુદ સીટના રિપોર્ટમાં મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારોની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સ્પષ્ટ થઈ છે. હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકાર તરફથી અદાલતને બાંહેધરી અપાઈ હતી કે, અદાલત જે એકશન ટેકન રિપોર્ટની વાત કરે છે, તે જલ્દી રજૂ કરી દેવાશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે, સીટના રિપોર્ટમાં જે અધિકારીઓની બેદરકારી ઉજાગર કરાઈ છે તે તમામ જવાબદારો સામે કાર્યવાહી કરીને સરકાર એકશન ટેકન રિપોર્ટ રજૂ કરે.
દરમ્યાન હાઇકોર્ટે ઓરેવા કંપનીને પણ પ્રત્યેક પીડિતોને દર મહિને રૂ.૧૨ હજાર પેન્શન અને તેમના બાળકોના ભરણપોષણ સહિતના મુદ્દે યોગ્ય વળતર અને પુન: સ્થાપનની નક્કર યોજના સાથે આવવા પણ નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે પીડિતોને ચુકવણી માટેની રકમને લઇ એક ટ્રસ્ટ બનાવવા પણ ઓરેવા કંપનીને તાકીદ કરી હતી અને પુછયું હતું કે તમે પીડિતોને ચુકવણી કરવા માટે કયા પ્રકારની પધ્ધતિ અપનાવશો…? તે પણ સ્પષ્ટ કરો. ઓરેવા કંપની દર વખતે નવી વાત રજૂ કરે છે એમ નહી પરંતુ તેઓ પીડિતોના પુનર્વસન, ખાસ કરીને જે બાળકોના માતા-પિતા માર્યા ગયા છે તેમના ભરણપોષણ અને જીવનનિર્વાહ માટે શું કરવા માંગે છે તે સહિતના મુદ્દે ચોક્કસ દરખાસ્ત કે યોજના લઇને આવો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૯મી ઓકટોબર પર મુકરર કરી હતી.