- સોલા સિવિલની ENT ઓપીડીમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો
- કાનમાં સતત રાખેલા હેડફોન, એર પોડ્સમાં ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવથી બહેરાશનું જોખમ વધુ
- યુવાનોએ વધુ પડતો હેડફોનનો ઉપયોગ ટાળવો જોઈએ: તબીબોની સલાહ
તાજેતરમાં સુપ્રસિદ્ધ પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકને સેન્સરી નર્વ હિયરિંગ લોસની બીમારી સામે આવી છે, જેમાં સાંભળવાનું બંધ થયું છે. બહેરાશ એ રેર રોગ છે. અમદાવાદની સરકારી સોલા સિવિલ હોસ્પિટલમાં એક અથવા બે કાનથી બહેરાશના પહેલાં મહિને એક બે કેસ જોવા મળતાં હતા.
જોકે કોવિડના સમય ગાળા બાદ છેલ્લા એક વર્ષની ઓપીડીમાં મહિને 30થી 40 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આમ ચિંતાજનક રીતે એક અથવા બે કાને બહેરાશના કેસમાં વધારો જોવાયો છે. તબીબોની સલાહ છે કે, યુવાનોએ વધુ પડતો હેડફોનનો ઉપયોગ ટાળવો જોઈએ.
સોલા સિવિલ હોસ્પિટલનાં ઈએનટી વિભાગના વડાં ડો. નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, એક અથવા બે કાને બહેરાશ માટે વિવિધ કારણો જવાબદાર છે, જેમાં કાન પાસે મોટો અવાજ કે ધડાકો થવો, કાનના ભાગે ઈજા થવી, વાયરલ ઈન્ફેક્શન થવું, મગજમાં ગાંઠ, ફટાકડાનો અવાજ વગેરે બાબતો સામેલ છે. કાનમાં કોઈ પણ જાતની તકલીફ થાય તો તૂર્ત જ ઈએનટી સર્જન પાસે જવું જોઈએ. તબીબોનું કહેવું છે કે, બજારમાં સાંભળવાના નામે સાધનો અપાઈ રહ્યા છે, જે હકીકતે કામે લાગતા નથી, બીમારીનું નિદાન ઈએનટી ડોક્ટર દ્વારા થાય તે જરૂરી છે. કઈ બાબતોની તકેદારી રાખવી જરૂરી છે તે બાબતને લઈ તબીબો કહે છે કે, દિવસમાં આઠ કલાકથી વધારે સમય વધુ અવાજ સાંભળો છો તો તેવી સ્થિતિમાં કાનને અસર થઈ શકે છે. મહિલા પ્રેગનન્ટ હોય ત્યારે પ્રથમ 10 અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શન ના થાય તે બાબતની તકેદારી લેવી જોઈએ. કાનમાં સતત રાખેલા હેડફોન, એર પોડ્સ સતત રાખીને ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવાથી પણ આ બહેરાશ આવતી હોય છે. બહેરાશ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ એક માત્ર ઉપાય છે.
અમદાવાદની સોલા સિવિલમાં 15થી 20 વર્ષની વયના 20 બાળકો આવ્યા છે, જેઓ કોક્લિયર ઈમ્પ્લાન્ટ બાદ સાંભળતા થયા છે જ્યારે 45થી 60 વર્ષના 30 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમને મોડરેટ બહેરાશ હોવાથી હિયરિંગ એડ અપાયા હતા.


