- પૂર્વ પીએમ ઈમરાન ખાનની જેલમુક્તિને લઈ પાકિસ્તાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન
- પંજાબ પ્રાંતની સરકારે સાત દિવસ કલમ-144 લાગુ કરી સૈન્ય જવાન, પોલીસ તૈનાત કરી
- ઈમરાન ખાન ગયા વર્ષે ઓગસ્ટથી અદિયાલા જેલમાં
પાડોશી દેશ પાકિસ્તાનની જેલમાં હવા ખાઈ રહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગને લઈ તેમના ટેકેદારોએ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન બોલાવ્યું હતું. જેથી પંજાબ સરકારે સમગ્ર પ્રાંતમાં સાત દિવસ સુધી કલમ-144 લાગુ કરી દીધી છે. સમગ્ર પંજાબ પ્રાંતમાં વિરોધ પ્રદર્શન અને જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અને આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરી દીધો છે. કારણ કે, પાર્ટી કાર્યકરોએ પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના સંસ્થાપકની મુક્તિની માંગને લઈ પ્રદર્શ કરવાની યોજના બનાવી હતી.
ઈમરાન ખાન ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે
તમને જણાવી દઈએ કે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે. એપ્રિલ-2022માં સત્તા પરથી તેમની હકાલપટ્ટી પછી તેમના પર લાગેલા લગભગ 200 કેસોમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એક મળતી માહિતી અનુસાર, પંજાબ પ્રાંતના ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી કલમ-144 લાગુ કરવાનો આદેશ જાહેર કર્યો છે અને તે સાત દિવસ સુધી અમલમાં રહેશે. દરમિયાન, ઈમરાન ખાને શુક્રવારે કહ્યું હતું કે સત્તારૂઢ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)સાથે કોઈપણ વાતચીત વર્તમાન સરકારના પતનમાં પરિણમી શકે છે.
ઈમરાન ખાને દેશના ફાયદાની વાત કરી
ઈમરાન ખાને 190 મિલિયન પાઉન્ડના ભ્રષ્ટાચાર અને અનૌપચારિક મીડિયા ચેટ કેસની સુનાવણી દરમિયાન વ્યક્તિગત કે સરકારી હિત માટે નહીં પણ પાકિસ્તાનના લાભ માટે વાટાઘાટો કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, હું મારા કે સરકાર માટે નહીં પણ પાકિસ્તાન માટે વાતચીત કરવા માંગુ છું. જો તે દેશ માટે ફાયદાકારક હશે તો પીછેહઠ કરવાની તેમની ઇચ્છાને પુનરાવર્તિત કરતા, ઇમરાન ખાને કહ્યું, “મને ખાતરી કરો કે તેનાથી દેશને ફાયદો થશે, અને હું પાછો હટીશ.”
વર્તમાન સરકારની આકરી ટીકા
તે જ સમયે, ઇમરાન ખાને વર્તમાન સરકારની ટીકા કરી હતી કે તે મોંઘવારી ઓછી કરી રહી નથી અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું, દેશ સંકટમાં છે. સરકારે તેના ખર્ચમાં ઘટાડો કર્યો નથી, જે પરેશાન કરનાર છે. વર્તમાન સરકાર મૂડીરોકાણ માટેનું વાતાવરણ ઉભું કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનને જરૂરી સુધારા કરવા માટે આદેશ આધારિત સરકારની જરૂર છે. તેમણે ધ્યાન દોર્યું કે વર્તમાન બજેટ બિન-જનાદેશી સરકારની મર્યાદાઓને પ્રકાશિત કરે છે. તેમણે વ્યાવસાયિકો અને જનતા પર અતિશય કર લાદવાની નિંદા કરી અને આગામી વીજળી બિલોની ગંભીર અસરોની આગાહી કરી.


