- વીમા કંપનીએ 286 હોસ્પિટલો ડિલિસ્ટ કરી
- વીમા કંપનીના નિર્ણય સામે આહના કોર્ટમાં જશે
- 15મી જુલાઈથી વીમા ગ્રાહકો માટે કેશલેસ સેવા બંધ તેમજ રિઈમ્બર્સમેન્ટમાં પણ મદદ નહિ કરાય
ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ અમદાવાદની 81 સહિત ગુજરાતની 286 હોસ્પિટલોને ડિલિસ્ટ કરી છે. વીમા કંપનીના આ નિર્ણય સામે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના)એ વીમા કંપનીને કોર્ટમાં ખેંચી જવા નોટિસ બજાવી છે અને એક કરોડનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.
આ સાથે જ જો પ્રશ્નનો ઉકેલ ના આવે તો આગામી 15મી જુલાઈથી આહના સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલો ટાટા એઆઈજીનો બહિષ્કાર કરશે, જેમાં વીમો ધરાવતા ગ્રાહકોની કેશલેસ સેવા બંધ કરાશે તેમજ રિઈમ્બર્સમેન્ટ બાબતે પણ સહયોગ નહિ અપાય. આહનાના પ્રમુખ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે, વીમા કંપનીએ કોઈ પણ જાતની નોટિસ આપ્યા વીમા હોસ્પિટલોને ડિલિસ્ટ કરી છે. હોસ્પિટલોએ જ્યારે ડિલિસ્ટ મામલે સવાલો કર્યા ત્યારે કંપનીના બિનજવાબદાર અધિકારીઓએ ઉડાઉ જવાબ આપ્યા હતા.
આહનાના તબીબોએ કહ્યું કે, 15મી જુલાઈથી આ કંપનીના વીમા ગ્રાહકો માટે કેશલેસ સેવા બંધ કરાશે. રિઈમ્બર્સમેન્ટમાં પણ મદદ નહિ કરાય. બીજી તરફ કેટલીક વીમા કંપનીઓ 15 બેડથી ઓછા બેડની સંખ્યા ધરાવતી હોસ્પિટલોમાં સારવાર ના લેવાનો નિર્દેશ આપી રહી છે, આહનાએ આવા કેસોને કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે. આવા કારણસર ક્લેઈમ નકારાયા હોય તેવા લોકોએ આહનાની ઓફિસ પર ઈમેઈલ કરીને રજૂઆત કરી શકશે તેમ તબીબોનું કહેવું છે.


