- રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂપિયા 185 કરોડ મંજૂર
- શિહોર નગરપાલિકામાં ટાઉનહોલ બનાવવા મંજૂરી
- ગોંડલ નગરપાલિકામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના નિર્માણ સહિત અન્ય કામો માટે રૂપિયા 6 કરોડથી વધુ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોના લોકોના જનજીવનની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂપિયા 185 કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ રૂ.247.92 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
4 ફ્લાય ઓવર નિર્માણ માટે માટેની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી
મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેના માટે કુલ રૂ.185.79 કરોડના અંદાજિત ખર્ચે રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-2નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, 150 ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઈ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગની રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાંથી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના નવ ગામો પૈકીની સૂચિત નગર યોજના 31 અને વરતેજ ગામતળના વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના માટે તેમણે 45.69 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે. એટલું જ નહીં, નગરોમાં આગવી ઓળખના કામો પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે.
શિહોર નગરપાલિકામાં ટાઉનહોલ બનાવવા મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિહોર નગરપાલિકામાં આવા આગવી ઓળખના કામ તરીકે ટાઉનહોલ બનાવવાના હેતુસર રૂ. 8 કરોડ 31 લાખ 50 હજારના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે ગોંડલ નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ માટે રૂપિયા 6 કરોડ 92 લાખ 84 હજારના કામો મંજૂર કર્યા છે. ‘ડ’ વર્ગની નગરપાલિકા માળિયા-મિયાણાને આઉટ ગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાના ચાર કામ માટે બે કરોડ રૂપિયાના કામોની અનુમતિ પણ મુખ્યમંત્રીએ આપી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરોની માળખાકીય સુવિધાઓને પરિપૂર્ણ કરવાના હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી બનાવેલી છે.
વર્ષ 2009-10થી 2023-24 સુધીમાં રૂપિયા 55 હજાર કરોડની બજેટ જોગવાઈઓ આ યોજનામાં કરવામાં આવી છે. આ બજેટ ફાળવણી અન્વયે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના, આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો, મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા, રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજ નિર્માણ સહિતના જન સુખાકારીના કામો રાજ્યના નગરો-મહાનગરોમાં હાથ ધરવામાં આવે છે.


